New Delhi,તા.10
પેન્શન ફંડ નિયામક અને વિકાસ સત્તામંડળ એ પોતાની ખાસ પહેલ ‘એનપીએસ સ્વાસ્થ્ય’ના બીજા પાઇલટ તબક્કાને મંજૂરી આપી દીધી છે. નવા નિર્દેશો અનુસાર, આ યોજનામાં સ્વાસ્થ્ય વીમો લેવો અનિવાર્ય રહેશે.
સાથે જ નવી વ્યવસ્થામાં રોકાણકારો માટે નિયમોને પહેલા કરતા વધુ અનુકૂળ અને લવચીક બનાવવામાં આવ્યા છે. આ યોજના એનપીએસ સભ્યોને હોસ્પિટલમાં દાખલ થવા અને ઓપીડીમાં થયેલા સારવારના ખર્ચની ભરપાઈ કરશે.
PFRDAના નવા નિર્દેશો અનુસાર, એનપીએસ સ્વાસ્થ્ય એક સ્વૈચ્છિક પેન્શન યોજના છે, જેમાં ભારતનો કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ યોજનામાં સ્વાસ્થ્ય વીમો લેવો જરૂરી કરી દેવામાં આવ્યો છે. એટલે કે દરેક રોકાણકારને સ્વાસ્થ્ય વીમા કવચ મળશે.
વીમાની શરતો સંબંધિત વીમા કંપની અને વીમા નિયામક ઇરડાના નિયમો અનુસાર રહેશે. તેનું પ્રીમિયમ સીધું રોકાણકારના એનપીએસ ખાતામાંથી આંશિક ઉપાડ તરીકે કાપવામાં આવશે. આનાથી રોકાણકારને અલગથી વીમો ખરીદવાની જરૂર નહીં પડે અને પેન્શન ખાતાની સાથે જ સ્વાસ્થ્ય સુરક્ષા મળી જશે.
નિયામકે જણાવ્યું છે કે આ યોજનામાં તમામ શરતો અને વીમા સાથે જોડાયેલી માહિતી પારદર્શક રીતે ગ્રાહકોને આપવામાં આવશે, જેથી તેમને સંપૂર્ણ જાણકારી રહે.
શરૂઆતમાં આટલું રોકાણ જરૂરી
આ યોજનામાં જોડાવા માટે ઓછામાં ઓછું 25,000 રૂપિયાનું પ્રારંભિક રોકાણ કરવું પડશે. ત્યારબાદ જ સભ્યો આનો લાભ લેવા માટે પાત્ર બનશે.
ઈમરજન્સીની સ્થિતિમાં પૂરા પૈસા ઉપાડી શકાશે
આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે ગંભીર બીમારી અથવા હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં રોકાણકારને પોતાનાં સંપૂર્ણ એનપીએસ ફંડમાંથી 100 ટકા રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી એનપીએસમાંથી આંશિક ઉપાડની જ સુવિધા હતી, પરંતુ નવી વ્યવસ્થામાં જો સારવારનો ખર્ચ વધારે હોય તો પૂરા પૈસા એકસાથે ઉપાડી શકાશે.
રોકાણ અને રિટર્ન પર શું થશે અસર
આ યોજનામાં જમા થયેલાં પૈસા પેન્શન ફંડ મેનેજર જ રોકાણ કરી શકે છે. આના પર બજાર અનુસાર રિટર્ન મળતું રહે છે. એટલે કે, જો તમે પૈસા નથી ઉપાડતા, તો તે નિવૃત્તિની બચતને વધારતું રહેશે.
આવી રીતે વીમા ક્લેમની પતાવટ થશે
જ્યારે પણ ફંડમાંથી આંશિક કે પૂરી રકમ ઉપાડવામાં આવશે તો તે સીધી સંબંધિત હોસ્પિટલ અથવા વીમા કંપની કે એજન્સીને મોકલવામાં આવશે જેથી સારવારમાં વિલંબ ન થાય. સારવાર પછી જો કંઈક પૈસા વધે છે, તો તે રોકાણકારના ખાતામાં પાછા જમા કરી દેવામાં આવશે.
ખાતામાં 50 હજાર રૂપિયા હોવા જરૂરી
એનપીએસ સભ્યો પોતાના ફંડનો 25 ટકા હિસ્સો ગમે ત્યારે મેડિકલ જરૂરિયાતો માટે ઉપાડી શકે છે. ખાસ વાત એ છે કે આના પર કોઈ વેઇટિંગ પિરિયડ નથી. બસ પહેલીવાર પૈસા ઉપાડવા માટે ખાતામાં ઓછામાં ઓછા 50,000 રૂપિયા હોવા જરૂરી છે.

