અજમાબેને આવેશમાં આવી વાડીએ જઈ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Harpalsinh Jadeja,Chotila,,તા.19
ચોટીલા તાલુકાના નાગચોકિયા ગામની વાડીએ પતિ સાથે કામ બાબતે સામાન્ય બોલાચાલી થતાં ૨૭ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ચોટીલા તાલુકાના નાગચોકિયા ગામે આવેલી દેવાભાઈની વાડીએ રહીને ખેતીકામ કરતા અજમાબેન લુલાભાઈ ચૌહાણ ચૌહાણ (ઉં. ૨૭) ગત તારીખ ૧૬ જૂનના રોજ સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિએ કામે જવાનું કહેતા બંને વચ્ચે કામ બાબતે ઝઘડો થયો હતો. પતિ સાથે થયેલી બોલાચાલી બાદ આવેશમાં આવી ગયેલા અજમાબેને વાડીએ જઈને કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવાના કારણે તબિયત લથડતાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા અજમાબેને હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક અજમાબેનના પતિ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દીકરાઓએ વ્હાલસોયી માતા ગુમાવતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

