Surendranagar,તા.20
સુરેન્દ્રનગર શહેરના રતનપરઆંબેડકર જયંતીને અનુલક્ષીને ફુટતા ફટાકડા જોવા ગયેલા યુવાને 4 શખ્સોએ માર મારી ધમકી આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રતનપર શેરી નં. 11માં રહેતા 42 વર્ષીય પ્રવીણભાઈ બાબુભાઈ પરમાર મજુરી કરે છે. 6 માસ અગાઉ પ્રવીણભાઈના માતા-પિતાને વિપુલ ઉર્ફે વિકાસ પ્રભુભાઈ રાઠોડે માર મારેલ હતો.
જેની પ્રવીણભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. આ વાતનું બન્ને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. તા. 13ના રોજ રાત્રે આંબેડકર જયંતીની ઉજવણીનો કાર્યક્રમ હોઈ રતનપર ભીમરાવ ચોકમાં ફટાકડા ફુટતા હતા. આથી રાતના 1 કલાકે પ્રવીણભાઈ ત્યાં જોવા ગયા હતા. આ સમયે વિપુલ ઉર્ફે વિકાસ પ્રભુભાઈ રાઠોડ ત્યાં હાજર હતો.
જેમાં વિકાસે પ્રવીણભાઈને તું મારી પત્નીનો વીડીયો કેમ ઉતારેશ તેમ કહેતા પ્રવીણભાઈએ મારી પાસે મોબાઈલ નથી અને મેં વીડીયો ઉતાર્યો પણ નથી. તેમ કહેતા વિકાસ ઉશ્કેરાયો હતો. અને વિકાસ, લંકેશ રમેશભાઈ રાઠોડ, મનોજ વશરામભાઈ વાઘેલા તથા માહીર દીપકભાઈ ગેડીયાએ એક સંપ કરી અપશબ્દો કહી ધોકા તથા ઢીકાપાટુ વડે પ્રવીણભાઈને માર માર્યો હતો.
જેમાં પ્રવીણભાઈને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પીટલ અને ત્યાંથી રાજકોટ રીફર કરાયા હતા. આ અંગે તા. 16મીએ જોરાવરનગર પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી પી.કે.પરમાર ચલાવી રહ્યા છે.

