ભાતીગળ સંસ્કુતિને જોખમ મુકનાર સામે પગલા લેવામા આવશે,જીલ્લા વહીવટી તંત્ર
Surendranagar,તા.૨૦
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મેળાઓ સૌરાષ્ટ્રમાં યોજાય છે. જેમાં ભાતીગળ લોકમેળો અને જે મેળો ઋષિઓ યોજતા હતા તેવો એક તરણેતરનો મેળો છે. સમગ્ર ગુજરાતમાંથી મેળો માણવા માટે લોકો તરણેતર ખાતે પહોંચી રહ્યાં છે. એક તરફ ઋષિની પરંપરા મેળાની જાળવવામાં આવી છે .ઋષિઓ આ મેળો યોજતા હતા અને આજે પણ વર્ષો પછી આ પરંપરા યથાવત છે. ત્યારે બીજી તરફ, મેળામાં અશ્લીલ ડાન્સ પીરસાતા ઉહાપોહ મચી ગયો છે. મેળામાં માદક સ્ત્રીઓ દ્વારા ઠુમકા લગાવવામાં આવ્યા હતા.
તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિશ્વ પ્રખ્યાત તરણેતરના મેળામાં સંસ્કૃતિ ભુલાઈ હોય તેવા દ્રશ્યો જોતા ચારેતરફ ચર્ચા વહી છે. આ વીડિયોને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તરણેતરના મેળામાં રાત્રે અને દિવસે દરમિયાન ભોજપુરી ડાન્સ ફિલ્મી ગીતો પર ડાન્સ પર હસીનાઓએ ઠુમકા લગાવ્યા હતા. હાલ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા ઉપર આ તમામ વિડીયો વાયરલ થતા સવાલો ઉઠ્યા છે. મોતના કૂવાના જાહેર મંચ પર ડાન્સ કરતી ડાન્સરોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. આટલું જ નહીં જાણે કોઈ મુજરા ચાલી રહ્યો હોય તેમ યુવાનો ડાન્સરો પર રૂપિયા ઉડાવતા અને તેમના તાલે ડાન્સ કરતા પણ દેખાયા હતા. મોતના કુવાની બહાર ત્રણ યુવતીઓ ઠુમકા લગાવીને નાચી રહી હતી, અને યુવકો તેના પર પૈસા ઉડાવી રહ્યા હતા.
આ વીડિયો વાયરલ થતા સુરેન્દ્રનગરના ઈન્ચાર્જ કલેક્ટર રાજેન્દ્ર ઓઝાએ ખુલાસો કરતા જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવી કોઇ મંજુરી આપી નથી. ભાતીગળ સંસ્કુતિને જોખમ મુકનાર સામે પગલા લેવામા આવશે. પ્રાંત અધિકારી ચોટીસને સમગ્ર મામલાની તપાસ સોંપવામા આવી છે.
એક તરફ આ વર્ષે મેળામાં ૨૪ પ્રકારની ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેળામાં રાત્રે લોક ડાયરા અને સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારનો અશ્લીલ ડાન્સ બતાવવો કેટલો યોગ્ય કહેવાય.