Botad,તા.01
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વધુ એક વખત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો. જોકે આ સળિયા સાથે ટ્રેન અથડાતા ટ્રેન ઊભી રહી ગઈ હતી, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ આ મામલે બોટાદ પોલીસે રાણપુરના અળવ ગામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ અગાઉ 25 નવેમ્બરના રોજ પણ આ બંને આરોપીએ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો.
યુટ્યુબમાં વીડિયો જોઈને રચ્યું હતું ષડયંત્ર
રમેશ કાનજીભાઈ સલીયા (ઉ. 55 વર્ષ) અને જયેશ નાગરભાઈ બાવળિયા (ઉં. 24 વર્ષ)એ યુટ્યુબમાં વીડિયો જોઈને ટ્રેન લૂંટવાનું ષડયંત્ર રચ્યું હતું. રમશે અને જયેશે દેવું થઈ જવાના કારણે આ ષડયંત્ર ઘટ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બંનેએ ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબ્બામાંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન બનાવ્યો હતો.
‘ટ્રેનના પાટા પર લોખંડનો સળિયો ઉભો કરી દીધો હતો’
બોટાદના SPના જણાવ્યા અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુર પો.સ્ટે હદમાં ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી તે દરમિયાન કોઇએ ટ્રેનના પાટાની વચ્ચે 4 ફૂટનો લોખંડનો સળિયો પાટા વચ્ચે ખોસી દીધો હતો. ટ્રેનના એન્જિન સાથે ટુકડો અથડાતા ટ્રેન ઊભી રહી ગઇ હતી અને અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા.
રેલવે અને પોલીસ વિભાગ દ્વારા શરૂ કરાઈ હતી તપાસ
ભાવનગર-ઓખા ટ્રેન સાથે આ ઘટના બની હતી. બોટાદ SP, DySP સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ તથા રેલ્વે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા રેલવે પાટા પરથી લોખંડનો સળિયો મળી આવ્યો હતો. ત્યારબાદ રેલવે અધિકારીઓની ટીમ, પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. ત્યારબાદ બંને આરોપીઓને ઘટનાસ્થળે નજીક વાડીમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે.