New Delhi, તા.15
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાતાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રીઝર્વ બેંક અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા શંકાસ્પદ, નિષ્ક્રિય ખાતાઓ સામે ચાલતી કાર્યવાહીમાં વિદ્યાર્થીઓના એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવતાં તેઓને રહેવા, જમવાની સાથે ફી ભરવાના પણ ફાંફા પડી ગયા છે.
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના ક્રેઝમાં દર વર્ષે ભારતમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં જતાં હોય છે. સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ જમવા, રહેવાની સાથે કોલેજની ફી ભરવા પોતાના ભારત સ્થિત બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતાં હોય છે.
જોકે RBI અને કેન્દ્રીય એજન્સીઓના આદેશ બાદ વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને છતે પૈસે લોકો પાસે ભીખ માંગવાનો વારો આવી રહ્યો છે.
આ બાબતે બેંકના અધિકારીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે બેંકો RBIની ગાઈડલાઈન અને કેન્દ્રીય એજન્સીઓની સૂચનાનું પાલન કરતી હોય છે. ત્રણ મુખ્ય સંજોગોમાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે. જેમાં જો કોઈ ભારતીય 182 દિવસથી વધુ સમય વિદેશમાં રહેતો હોય તો તેનું સ્ટેટસ એનઆરઆઈ થઈ જાય છે.
આવા સંજોગમાં વિદ્યાર્થીઓ તેમનું રેસિડેન્ટ સેવિંગ્સ એકાઉન્ટ જ ચાલુ રાખતાં હોય છે જેને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO)માં ફેરવવું ફરજિયાત છે. આ સિવાય સાયબર સુરક્ષા, શંકાસ્પદ વ્યવહારો, કેવાયસી અપડેટ ના કરાવ્યું હોય, વિદેશથી ઓપરેટ થતાં એકાઉન્ટની તપાસ કરી જેના દસ્તાવેજો અધૂરા હોય તેવા સંજોગોમાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે.

