22/4 એ કાશ્મીરમાં આતંકી હુમલાને એક વર્ષ પૂરું થયું! અને એ કારમી વેદના તેમજ આપણે આપેલ વળતો જડબાતોડ જવાબ આપ્યો એ પણ ખરું! પણ 23 એપ્રિલનાં રોજ પુસ્તક દિવસ હતો, અને હમણાંથી ઉપનિષદ પર લખવાનું શરૂ કર્યું તો આપણાં વૈદિક ગ્રંથોનો વૈભવથી અભિભૂત થવાય ! એવો અણમોલ ખજાનો આપણી પાસે પડ્યો છે, અને આખું વિશ્વ જો આ વૈદિક ધર્મને અનુસરે તો વિશ્વ યુદ્ધ મુક્ત વિચારસરણી માટે સંમત થાય એવો અહિંસાનો મર્મ ગાયો છે! જોકે આપણે પણ સમયે એને અનુસરી શક્યાં નહીં એનો રંજ અવશ્ય રહી જશે. પુસ્તકો આપણાં જીવનમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે, પુસ્તક દિવસ શુ કામ ઉજવવામાં આવે છે? એનાથી ફાયદો શું છે? અને મારી માટે પુસ્તક એટલે શું?એને વિશે આજે વાત કરીએ. આમ તો દરેક ઉજવાતાં દિવસની જેમ પુસ્તક દિવસ ઉજવવા પાછળ પણ પશ્ચિમી સંસ્કૃતિનાં લેખકો જવાબદાર છે. ઘણીવાર વિચાર આવે કે શું આપણે ત્યાં કોઈ સારા લેખકો કે ઉચ્ચ કોટીની વિદ્યા ધરાવતાં માનવનો જન્મ જ નહીં થયો હોય? કે પછી આપણે એમને આમ ખાસ રીતે યાદ કરવાં એવું કંઈ વિચાર્યું જ નહીં!; ખેર પુસ્તક દિવસ ઉજવવાં પાછળ યુનેસ્કો જવાબદાર છે! અને એ વાત પ્રશંસનીય પણ છે.
યુનેસ્કોએ 23 એપ્રિલ 1995નાં રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી શરૂ કરી હતી. ત્યારથી લોકોમાં પુસ્તકો વિશે જાગૃતિ આવે અને પુસ્તકોનું મહત્વ સમજાય માટે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલું જ નહીં 23 એપ્રિલની તારીખ પસંદગી કરવા પાછળનું કારણ એ છે કે 23 એપ્રિલના રોજ જાણીતાં લેખક વિલિયમ શેક્સપીયર, મિગ્યુએલ દે સર્વેન્ટસ અને જોસેપ પ્લેયા એ તારીખે મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે મેન્યુઅલ મેજિયા વલેજો અને મોરિસ ડ્રુનનો જન્મ 23 એપ્રિલના રોજ થયો હતો.
પુસ્તકો ખરેખર ખૂબ જ મહત્વનાં છે, આમ તો બાળકનો પુસ્તક સાથેનો પરિચય કક્કા બારખડીની ચોપડીથી થાય છે. પછી ફૂલ પાંદડી, અને પ્રાથમિક શિક્ષણની ચોપડીઓ, માધ્યમિક શિક્ષણની ચોપડીઓ, કોલેજ શિક્ષણની ચોપડીઓ, વાંચી એ શિક્ષિત થાય છે,પણ આ બધું જ એની માટે ડીગ્રી નામની સ્પર્ધામાં વિજયી બનવા માટે હોય છે, એટલે એ એટલી હદે એ પુસ્તકોને પ્રેમ કરી શકતો નથી, એનું મહત્વ સમજી શકતા નથી, બસ ભણવા ખાતર ભણી લીધું. બહુ ઓછા વિદ્યાર્થીઓ હશે જે પાઠ્યપુસ્તકોનું સાચું મહત્વ સમજી ભણ્યાં હશે!; ટૂંકમાં કક્કાવારીનો એ કલમનો “ક” શીખવાં વખતે જેટલો રસ હતો, એ રસ છેક સુધી જળવાઈ રહેતો નથી, અને આ આપણાં સૌના જીવનની સચ્ચાઈ છે.
પરંતુ પહેલાં મનોરંજનનાં આટલાં બધાં સાધનો નહોતાં, એટલે કે ટીવી, સ્માર્ટફોન, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, કે અદ્યતન મ્યુઝિક સીસ્ટમ, વિડીયો ગેમ, એનું ચલણ નહોતું, બહુ બહુ તો રેડિયો હતો. ધનવાન હોય એને ત્યાં પિયાનો અને ગ્રામોફોન હતાં, થાળી વાજું કે ગિટાર પણ બહું ઓછાં લોકો જાણતાં! આ ઉપરાંત ફિલ્મો હતી પણ રોજ કંઈ પોષાય નહીં, ત્યારે વેકેશન કે પછી ફાજલ સમયનો ઉપયોગ આ રીતે સારાં સારાં પુસ્તકો વાંચીને લોકો કાઢતાં. એમાં પણ સસ્પેન્સ, રોમેન્સ, થ્રીલર કે પછી એડવેન્ચર ની જાતભાતની નોવેલ કથા કે આત્મકથા આમ આવું સાહિત્ય, સૌનાં જીવનનો એક અનેરો ભાગ હતો. રવિવારનો દિવસ હોય કે પછી વેકેશન હોય ત્યારે, ગરમીના દિવસોમાં બહાર રમવાં તો એટલું જઈ શકાય નહીં, ત્યારે વિદ્યાર્થીઓ આ રીતે પુસ્તકો વાંચતા, અને આમ પુસ્તક એનું એક સારું મિત્ર બની રહેતું! વાંચનનાં ઘણાં ફાયદા પણ છે! અને સૌથી પહેલો ફાયદો આપણે જોયું તેમ તે મિત્ર બની રહે છે, અન્ય મિત્રો સારા, ખોટા, ખરાબ કે પછી મતલબી પુરવાર થઈ શકે, જ્યારે પુસતકમાં આવો કોઈ દુર્ગુણ હોય નહીં, એટલે ગુમાવવાની કે છેતરાવાની કોઈ જ બીક રહેતી નથી. બીજો ફાયદો એ છે કે જે પ્રકારનું વાંચન કરતા હોઈએ એ પ્રકારની કલ્પનાનો વિસ્તાર આપણી બુદ્ધિ પણ સ્વીકારે છે, અને ક્યારેક પ્રયોગમાં પણ મૂકે છે, અને એને કારણે લઘુતાગ્રંથી તૂટે છે, સંકીર્ણતા ઘટે છે, અને અન્ય સંસ્કૃતિ વિશેની માહિતી પણ આપે છે. તો ઉંમરનાં અમુક ભાવો સહજતાથી વ્યક્ત પણ થાય છે, અને જીવન સરળ બને છે. આ ઉપરાંત સ્થળનાં,કે વ્યક્તિનાં રૂપનાં, પહેરવેશના, કે પ્રકૃતિનાં વર્ણનો દુનિયાને કે અન્યને જોવા સમજવાથી આપણી દ્રષ્ટિમાં પણ બદલાવ લાવે છે, અને જાણે અજાણે આપણે જે કંઈ વાંચતાં હોઈએ, એની સાથે આપણું માનસ જોડાય છે. આ ઉપરાંત મહત્વનો ફાયદો આપણે એકાંતને માણતાં શીખીએ છીએ, તેમજ પુસ્તક વાંચનનો સમય આપણી માટે પોઝિટિવ બની રહે છે, એટલે કે અન્યની ઈર્ષા, નિંદા, આગ્રહ, નીગ્રહ, કે અપેક્ષા ઉપેક્ષા, ક્રોધ, કામ, લોભ, અને મોહ એ બધાં જ ભાવથી દૂર રાખવામાં મદદ કરે છે. હરક્ષણ નવી નવી ઈચ્છા કરતું અને અહીંતહીં ઉડાઉડ કરતું પતંગિયા જેવું આપણું મન એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે, એટલે થોડી શાંતિનો પણ અનુભવ થાય છે. કોઈ ની આત્મકથા માંથી પ્રેરણા લઈને જીવન ચરિત્ર પણ નિર્માણ થાય છે. આમ આવા નાના મોટા તો કેટલાય ફાયદા પુસ્તકોથી થાય છે, અને એ તો આપણે વાંચીએ અને એ રીતે આપણે એની સાથે જોડાઈએ તો જ વધુ સારી રીતે જાણી શકીએ.
પુસ્તકને સંસ્કૃતમાં ગ્રંથ કહેવામાં આવે છે, અને આપણી સંસ્કૃતિ તો આવા કેટલાય વૈદિક ગ્રંથોને સમાવીને બેઠી છે. આપણી સંસ્કૃતિનો મુખ્ય આધાર જ ચાર વેદ, ઉપનિષદ, શ્રીમદ ભાગવત, શ્રી રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવત ગીતા, શિવપુરાણ, દેવીપુરાણ, ગરુડ પુરાણ, જેવાં કેટલાયે વૈદિક ગ્રંથો છે, આપણાં ઋષિમુનિઓએ ખરેખર આપણે ચરિત્ર નિર્માણ કરી શકીએ એ માટે અદભુત ગ્રંથની રચનાઓ કરી છે, અને દરેકે દરેક ક્ષેત્રમાં જે આજે પણ આપણા માર્ગદર્શક બની રહે છે.પણ જેમ દીવા તળે અંધારું હોય, એમ આપણે આપણા આ વૈદિક શાસ્ત્ર, ગ્રંથ, કે પુસ્તકોનું એટલું મહત્વ સમજી શક્યા નહીં, એ હકીકતને નકારી શકાય એમ નથી. પણ છે અત્યંત અદભુત, અને એ આપણી જટિલ માં જટિલ સમસ્યાઓનો ઉકેલ આપનાર પણ છે.
સંતાનોનાં જન્મ સમયે આ વૈદિક શાસ્ત્રો વાંચવા જોઈએ એવું મમ્મી કહેતી, એટલે શ્રીમદ ભાગવત, શ્રી રામ ચરિત માનસ, અને ભગવત ગીતા જેવા વૈદિક ગ્રંથોનો થોડો ઘણો અભ્યાસ છે. બાકી રોજીંદા પાઠ સિવાય મારું એટલું વાંચન નથી, અને હવે તો લખવાનું જ ખૂબ રહે છે, એટલે હું વધુ તો એને વિશે શું કહું! પણ પુસ્તકનો બીજો અર્થ સ્વીકારીને જીવન જીવવું એવું પણ કરી શકાય, અને એ પ્રયોગ પણ કરવા જેવો ખરો. ઘણાનાં જીવન વિશે આપણે બોલતાં હોઈએ છીએ કે એનું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે! બસ આ અર્થ મને પ્રેરિત કરી ગયો, અને એટલે જ સદગુરુ કૃપા એ જીવનનાં દરેક પાનામાં ક્યાંય કોઈ વાત છુપાવવી પડે એવું થવાં જ નથી દીધું, એટલું આચરણ પર મહત્વ મુકી જીવાયું છે. વાણી વિચાર અને વર્તનનું સાતત્ય એ જ ચરિત્ર નિર્માણની પહેલી શરત છે,અને જેનો બોધ સદગુરુ હરક્ષણ કોઈ ને કોઈ રુપે આપતાં રહે છે, એટલે આ આ જીવન કિતાબ વધુ ને વધુ પુષ્ટ થાય છે, અને એને કારણે જીવન રસ રાગના વિવિધ રંગોની રંગોળીથી સર્જ્યું છે, મહેકતા ફૂલ જેમ ખીલીને અન્યનાં જીવન મહેકાવવા હરક્ષણ કટિબદ્ધ પણ રહે છે. જીવનને જ ખુલ્લી કિતાબ બનાવી શકીએ, એ માટે સદગુરુનો બોધ નિત્ય ચિંતન રુપે વહે છે, અને જીવ એ મંદાકિનીમાં નિત્ય સ્નાન કરી મોહ માયા મમતાના મેલ ધોઇને અસ્તિત્વમાં આનંદ મંગલ માટે પ્રાર્થના કરે છે. આપણે ત્યાં પણ વૈદિક ગ્રંથો રુપે ખૂબ જ ઉચ્ચ કોટિના પુસ્તકો છે! અને એને અનુસરીને આપણે વિશ્વમાં આપણી મહત્તા સિદ્ધ કરી શકીએ એમ છીએ. જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

