હવે ભગવાન આગળના શ્ર્લોક(૪/૭)માં પોતાના અવતારનો પ્રસંગ બતાવે છે..
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્
(ભારત-હે ભરતવંશી અર્જુન ! યદા યદા-જ્યારે-જ્યારે, ધર્મસ્ય-ધર્મની, ગ્લાનિઃ-હાની અને, અધર્મસ્ય-અધર્મની, અભ્યુત્થાનમ્-વૃદ્ધિ, ભવતિ-થાય છે, તદા-ત્યારે-ત્યારે, હિ-જ, અમહ્-હું, આત્માનમ્-પોતાના રૂપને, સૃજામિ-સાકારરૂપે પ્રગટ કરૂં છું.)
હે ભરતવંશી અર્જુન ! જ્યારે-જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે-ત્યારે જ હું પોતાના રૂપને સાકારરૂપે પ્રગટ કરૂં છું.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત– ધર્મની ગ્લાનિ એટલે નીતિનિયમ અને સદાચારની મંદતા, અધર્મનું અભ્યુતથાન એટલે અનીતિ-અનાચાર-દુરાચાર, અત્યાચાર, પાપ વગેરેનું વધી જવું. ભગવદપ્રેમી, ધર્માત્મા, સદાચારી, નિરપરાધ અને નિર્બળ મનુષ્યો ઉપર નાસ્તિક, પાપી, દુરાચારી અને બળવાન મનુષ્યોના અત્યાચાર વધી જવા તથા લોકોમાં સદગુણ અને સદાચારની અત્યંત કમી તથા દુર્ગુણ અને દુરાચારોની અત્યંત વૃદ્ધિ થઇ જવી એ ધર્મની હાની અને અધર્મની વૃદ્ધિનું સ્વરૂપ છે.
જ્યારે જ્યારે આવશ્યકતા પડે છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે.એક યુગમાં પણ જેટલીવાર આવશ્યકતા અને અવસર પ્રાપ્ત થઇ જાય તેટલી વાર અવતાર લઇ શકે છે.સમુદ્રમંથનના સમયે ભગવાને કચ્છપરૂપે મંદરાચળને ધારણ કર્યો તથા સહસ્ત્રબાહુરૂપે મંદરાચળને ઉપરથી દબાવી રાખ્યો,પછી દેવતાઓ ને અમૃત વહેંચવા માટે મોહિનીરૂપ ધારણ કર્યું.આ રીતે ભગવાને એક સાથે અનેક રૂપ ધારણ કર્યા હતા.
અધર્મની વૃદ્ધિ અને ધર્મનો હ્રાસ થવાનું મુખ્ય કારણ છે-નાશવાન પદાર્થો તરફનું આકર્ષણ.જેવી રીતે માતા અને પિતાથી શરીર બને છે તેવી જ રીતે પ્રકૃતિ અને પરમાત્માથી સૃષ્ટિ બને છે.એમાં પ્રકૃતિ અને તેનું કાર્ય સંસાર તો પ્રતિક્ષણ બદલાતાં રહે છે,ક્યારેય ક્ષણમાત્ર પણ એકરૂપે રહેતાં નથી અને પરમાત્મા તથા એમનો અંશ જીવાત્મા-બંન્ને સમસ્ત સ્થળ,કાળ વગેરેમાં નિત્ય-નિરંતર રહે છે.આમાં ક્યારેય સહેજપણ પરીવર્તન થતું નથી.જ્યારે જીવ અનિત્ય,ઉત્પત્તિ-વિનાશશીલ પ્રાકૃત પદાર્થો વડે સુખ મેળવવાની ઇચ્છા કરવા લાગે છે અને તેમની પ્રાપ્તિમાં સુખ માનવા લાગે છે ત્યારે તેનું પતન થવા લાગે છે.લોકોની સાંસારીક ભોગ અને સંગ્રહમાં જેમ જેમ આસક્તિ વધવા લાગે છે તેમ તેમ સમાજમાં અધર્મ વધે છે અને જેમ જેમ અધર્મ વધે છે તેમ તેમ સમાજમાં પાપનું આચરણ,કલહ,વિદ્રોહ વગેરે દોષો વધે છે.
સતયુગ,ત્રેતાયુગ,દ્વાપરયુગ અને કળિયુગ-આ ચારેય યુગો તરફ દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે બધા યુગોમાં ક્રમશઃ ધર્મનો હ્રાસ થાય છે.સતયુગમાં ધર્મનાં ચારેય ચરણ રહે છેઃસત્ય,પવિત્રતા(શૌચ),દયા અને દાન,ત્રેતાયુગમાં ધર્મનાં ત્રણ ચરણ રહે છેઃપવિત્રતા(શૌચ),દયા અને દાન,દ્વાપરયુગમાં ધર્મનાં બે ચરણ રહે છેઃદયા અને દાન અને કળિયુગમાં ધર્મનો ફક્ત એક જ ચરણ રહે છે-દાન.જ્યારે યુગની મર્યાદા કરતાં પણ વધારે ધર્મનો હ્રાસ થઇ જાય છે ત્યારે ભગવાન ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે અવતાર લે છે.
તદાત્માનં સૃજામ્યહમ્-જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે.આથી ભગવાનનું અવતાર લેવાનું મુખ્ય પ્રયોજન છે-ધર્મની સ્થાપના કરવી અને અધર્મનો નાશ કરવો.ધર્મની હાની અને અધર્મની વૃદ્ધિ થતાં લોકોની પ્રવૃત્તિ અધર્મમાં થઇ જાય છે.અધર્મમાં પ્રવૃત્તિ થવાથી સ્વાભાવિક પતન થાય છે.ભગવાન પ્રાણીના પરમ સુહ્રદ છે એટલા માટે લોકોનું પતન થતું રોકવાના માટે તેઓ પોતે અવતાર લે છે.
કર્મોમાં સકામભાવ ઉત્પન્ન થવો એ જ ધર્મની હાની છે અને પોતપોતાના કર્તવ્યથી ચ્યુત થઇને નિષિદ્ધ આચરણો કરવાં એ જ અધર્મનું અભ્યુત્થાન છે. ‘કામ’ એટલે કે કામનાથી સઘળે-સઘળાં અધર્મો, પાપો,અન્યાય વગેરે થાય છે.આથી આ ‘કામ’નો નાશ કરવા માટે તથા નિષ્કામભાવનું વિસ્તરણ કરવા માટે ભગવાન અવતાર લે છે.
આપણને શંકા થાય કે વર્તમાન સમયમાં ધર્મનો હ્રાસ તથા અધર્મની વૃદ્ધિ બહુ જ થઇ રહી છે તો પછી ભગવાન અવતાર કેમ લેતા નથી? એનું સમાધાન એ છે કે યુગના પ્રભાવને જોતાં હજું એવો સમય આવ્યો નથી જેથી ભગવાન અવતાર લે.ત્રેતાયુગમાં રાક્ષસોએ ઋષિમુનિઓને મારીને તેમનાં હાડકાંના ઢગલા કરી દીધા હતા.આ તો ત્રેતાયુગથી પણ નિમ્નકોટિનો કળિયુગ છે પરંતુ હજું ધર્માત્મા પુરૂષો જીવી રહ્યા છે,તેમનો કોઇ નાશ કરતું નથી.બીજી વધારાની એક વાત છે જ્યારે ધર્મનો હ્રાસ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાનની આજ્ઞાથી સંતો આ પૃથ્વી ઉપર આવે છે અથવા અહી વિશેષ સાધક પુરૂષો પ્રગટ થઇ જાય છે અને ધર્મની સ્થાપના કરે છે.કોઇક-કોઇક વેળા પરમાત્માને પ્રાપ્ત થયેલા કારક પુરૂષો પણ સંસારનો ઉદ્ધાર કરવા માટે આવે છે.સાધક અને સંત મહાપુરૂષો જે દેશમાં રહે છે તે દેશમાં અધર્મની બહુ વૃદ્ધિ થતી નથી અને ધર્મની સ્થાપના થાય છે.
જ્યારે સાધકો અને સંતમહાત્માઓને પણ લોકો માનતા નથી,ઉલ્ટાનો તેમનો વિનાશ કરવાનો આરંભ કરી દે છે અને જ્યારે ધર્મનો પ્રચાર કરવાવાળા બહુ ઓછા રહે છે તથા જે યુગમાં જેવો ધર્મ હોવો જોઇએ,તેની અપેક્ષાએ ઘણો જ વધારે ધર્મનો હ્રાસ થઇ જાય છે ત્યારે ભગવાન પોતે અવતાર લઇને આવે છે.અવતારનો અર્થ છે-નીચે ઉતરવું.સર્વ જગ્યાએ પરીપૂર્ણ રહેવાવાળા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પોતાના અનન્ય ભક્તોની ઇચ્છા પુરી કરવા માટે અતિવિશેષ કૃપાથી એક સ્થાન વિશેષમાં અવતાર લે છે અને નાના બની જાય છે.બીજા લોકોનો પ્રભાવ કે મહત્વ તો મોટા થઇ જવાથી થઇ જાય છે પરંતુ ભગવાનનો પ્રભાવ કે મહત્વ નાના થઇ જવાથી થઇ જાય છે,કારણ કે અપાર-અસિમ અનંત હોઇને પણ ભગવાન નાના સરખા બની જાય છે,આ એમની વિલક્ષણતા જ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

