અદાલતમાં જ્યારે છૂટાછેડાના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે પતિએ વારંવાર કહ્યું કે તેને છૂટાછેડા મંજૂર નથી
New Delhi, તા.૨૫
સુપ્રીમ કોર્ટમાં દરરોજ વિવિધ કેસોની સુનાવણી થતી હોય છે, પરંતુ ઘણીવાર ન્યાયાધીશોની ટિપ્પણીઓ કે કેસની ગંભીરતાને કારણે તે ચર્ચાનું કેન્દ્ર બને છે. આવો જ એક છૂટાછેડા સાથે જોડાયેલો કિસ્સો શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો, જેમાં જજે અત્યંત મહત્વની ટિપ્પણી કરી હતી. આ મામલામાં પત્નીએ છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી, જોકે સુનાવણી દરમિયાન પતિએ દલીલ કરી હતી કે તેને છૂટાછેડા જોઈતા નથી. અંતે કોર્ટે પતિને ભરણપોષણપેટે રૂ. ૫૦ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.અદાલતમાં જ્યારે છૂટાછેડાના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે પતિએ વારંવાર કહ્યું કે તેને છૂટાછેડા મંજૂર નથી. કોર્ટે પૂછ્યું કે જો પત્નીએ અરજી કરી છે, તો તેનો આધાર શું છે? તેના જવાબમાં પતિએ ક્રૂરતા અને પરિત્યાગનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, “પત્ની પર વ્યભિચારનો ખોટો આક્ષેપ લગાવવો, જેને તમે સાબિત નથી કરી શક્યા, તે પોતાનામાં જ છૂટાછેડા માટેનો એક સબળ આધાર છે. શું પત્ની ભરણપોષણની માંગ નથી કરી રહી?” પતિએ જવાબ આપ્યો કે પત્ની કોઈ માંગણી કરી રહી નથી, ત્યારે કોર્ટે કટાક્ષમાં કહ્યું કે તમારે તો આ બાબતે ખુશ થવું જોઈએ. કોર્ટે પૂછ્યું, “શું તમે સોફ્ટવેર એન્જિનિયર છો?” જેના પર પતિએ કહ્યું કે હવે તે માત્ર એક ળીલાન્સર છે. આ સાંભળી કોર્ટે માર્મિક ટિપ્પણી કરતા કહ્યું કે, “છૂટાછેડાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ દરેક વ્યક્તિ બેરોજગાર બની જાય છે. પત્ની કહેશે કે તેણે રાજીનામું આપ્યું છે, પતિ કહેશે કે તેની નોકરી છૂટી ગઈ છે. અને હવે તમે ળીલાન્સર બની ગયા છો.”સુનાવણી દરમિયાન પત્નીએ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટ દ્વારા છૂટાછેડા મંજૂર થયા અને હાઈકોર્ટે તેને માન્ય રાખ્યા બાદ તેણે બીજા લગ્ન કરી લીધા છે. તેમ છતાં પતિ પોતાની વાત રજૂ કરવા આજીજી કરતો રહ્યો. આ તબક્કે કોર્ટે પત્નીના ભવિષ્ય માટે ૫૦ લાખ રૂપિયા ભરણપોષણ તરીકે આપવાનો આદેશ કર્યો હતો. પતિએ દલીલ કરી કે પત્નીએ આટલી રકમ માંગી પણ નથી, ત્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું કે, “ના, આ અમે કહી રહ્યા છીએ.”અંતમાં, પતિએ વિનંતી કરી કે શું તે વધુ એક વાત કહી શકે છે? તેણે બાળકની કસ્ટડીના મામલામાં મધ્યસ્થતા દ્વારા વિચારણા કરવાની દરખાસ્ત મૂકી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે કેસની સ્થિતિ અને ભૂતકાળને જોતા પતિની આ માંગણીને પણ સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. આમ, આ કેસમાં કોર્ટે કાયદાકીય પાસાઓ સાથે સામાજિક વાસ્તવિકતા પર પણ આકરો પ્રહાર કર્યો હતો.

