New Delhi,તા.૨૬
ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ દોષિત ઠરેલી મહિલાને જામીન આપતી વખતે, સુપ્રીમ કોર્ટે આ દાવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ઉંદરોએ કેસમાં વસૂલવામાં આવેલા લાંચના પૈસાનો નાશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિ રાજ્યને ભારે મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે.
અહેવાલ મુજબ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું, “અમને એ જાણીને આશ્ચર્ય થયું છે કે ઉંદરોએ ચલણી નોટોનો નાશ કર્યો. અમને આશ્ચર્ય થાય છે કે આવા કેસોમાં વસૂલવામાં આવેલા કેટલા પૈસા આ રીતે નાશ પામ્યા હશે. આ કોઈપણ રાજ્ય માટે મહેસૂલનું મોટું નુકસાન છે.” સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે નોટોના નાશ માટે આપવામાં આવેલ સમજૂતી વિશ્વાસપાત્ર નથી.
આ કેસમાં એક મહિલા અધિકારીનો સમાવેશ થાય છે, જે બાળ વિકાસ કાર્યક્રમ અધિકારી હતી. તેણી પર ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ હતો. આ કેસમાં નીચલી અદાલતે તેણીને નિર્દોષ જાહેર કરી હતી. જો કે, જ્યારે મામલો પાછળથી પટણા હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે તેણે નીચલી અદાલતના નિર્ણયને ઉલટાવી દીધો અને આરોપી મહિલાને દોષિત ઠેરવીને સજા ફટકારી.
પટણા હાઈકોર્ટે મહિલાને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમો હેઠળ કેદની સજા ફટકારી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાલમાં તેની સજા પર રોક લગાવી દીધી છે અને તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જામીનની શરતો ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.
આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના અવલોકનની પણ નોંધ લીધી હતી કે જપ્ત કરાયેલ લાંચની રકમ ધરાવતું પરબિડીયું ઉંદરોએ નાશ કરી દીધું હતું. જોકે, તે સ્ટોરહાઉસ રજિસ્ટરમાં દાખલ કરવામાં આવ્યું હતું.
પટણા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો અન્ય પુરાવા દોષ સાબિત કરવા માટે પૂરતા હોય તો માત્ર પૈસાનો નાશ કરવાથી કેસ નબળો પડતો નથી. જો કે, સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે અંતિમ સુનાવણી દરમિયાન આ પાસાની વિગતવાર તપાસ કરવામાં આવશે.

