પુત્રીએ કરેલા લગ્નથી પરિવારજનોએ સંબંધ તોડી નાખ્યા બાદ યુવક ગામમાં જતા સાળાએ મારમાર્યો
Jasdan,તા.23
જસદણ તાલુકાના ભાડલા ભંડારિયા ગામમાં પ્રેમલગ્નની અદાવતનો ખાર રાખી સાળાએ બનેવી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના દહીંસરા ગામમાં રહેતા નરેશભાઈ ભોળાભાઇ રાપરીયા (ઉં.વ. ૨૭) ભાડલા ભંડારીયા ગામે આવેલા મહાદેવના મંદિર પાસે ઉભા હતા. તે દરમિયાન ત્યાં તેમનો સાળો રોહિતભાઈ મકવાણા ધસી આવ્યો હતો. રોહિતે તેની સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈને નરેશભાઈ પર હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ, ભોગ બનનાર નરેશભાઈએ બે વર્ષ પહેલાં રોહિતની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્નથી નારાજ થઈને રોહિતના માતા-પિતાએ દીકરી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને તેને બોલાવતા ન હતા. બહેનના પ્રેમલગ્નને કારણે પરિવારમાં ઊભા થયેલા આ ડખ્ખાનો ખાર રાખીને સાળા રોહિતે આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે ભાડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

