Gandhinagar,તા.26
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે(26 એપ્રિલ) સામાન્ય છમકલાં બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, જેમાં રાજ્યભરના મતદારોએ મધ્યમ પ્રતિસાદ આપ્યો છે. સવારે 9 વાગ્યા સુધી મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ સાંજ પડતા સુધીમાં સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું છે. ગરમીના પ્રકોપને કારણે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મતદાન મથકો પર પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અંતિમ કલાકોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ સમગ્ર કામગીરી પોલીસ તથા અન્ય સુરક્ષા દળોની કડક હાજરી અને દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. ત્યારબાદ સીલ કરાયેલા ઈવીએમ મશીનોને નિર્ધારિત સ્ટ્રોંગ રૂમ તથા કલેકશન સેન્ટરો ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મતદાન મથક પરથી મશીનોને સુનિશ્ચિત માર્ગદર્શિકા મુજબ જ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન જિલ્લાભરમાં કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નહોતો. મતદાનથી લઈને ઈવીએમ સીલિંગ અને પરિવહનની સમગ્ર પ્રક્રિયા સુચારુ અને સફળ રીતે પૂર્ણ થઈ હતી.
રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે. હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.
• 15 મહાનગરપાલિકાઓમાં 49% મતદાન
• 84 નગરપાલિકાઓમાં 59% મતદાન
• 34 જિલ્લા પંચાયતોમાં 61% મતદાન
• 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 61% જેટલું મતદાનar Election UPDATES
અમરેલીની મોટા આંકડિયા બેઠક પર મતદાન દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો આમને-સામને આવી જતાં વાતાવરણમાં ભારે તણાવ સર્જાયો હતો. આ બેઠક પર ‘આપ’ના ઉમેદવાર અને હાર્દિક વઘાસીયાના ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે હાર્દિક વઘાસીયાએ ફેસબુક લાઈવ કરીને ભાજપ પર ડુપ્લીકેટ મતદાન એજન્ટ બેસાડવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર હોબાળો થયો હતો. જોકે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ છે. બીજી તરફ સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના મતદાન મથક બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જોરદાર ઝપાઝપી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની પોલીસ અધિકારી સાથેની ચર્ચાઓને પગલે માહોલ વધુ ગરમાયો હતો.આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓમાં 49% અને નગરપાલિકાઓમાં 59% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોના જોરને કારણે સૌથી વધુ 61% જેટલું મતદાન નોંધાયું છે. જોકે, રાત્રે 8 વાગ્યા સુધીમાં ફાઈનલ ટકાવારી જાહેર થવાની શક્યતા છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી આયોગના નિર્દેશો અનુસાર મતદાન પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર અને સ્ટાફ દ્વારા ઈવીએમ મશીનોને સીલ કરી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના બૂથ નંબર 43 પર મતદાન દરમિયાન ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે, EVM મશીનનું 12 નંબરનું બટન ખામીયુક્ત છે અને ફરિયાદ છતાં તંત્ર દ્વારા મશીન બદલવામાં આવ્યું નથી. આ ઉપરાંત, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ ભાજપની નોટબુકનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાવી આચારસંહિતા ભંગના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ‘આપ’ના ઉમેદવારે તંત્રની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સાંજે છ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રીતે જામનગર જિલ્લામાં લોકશાહી પર્વની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પાર પડી હોવાનું જિલ્લા તંત્ર દ્વારા નોંધાયું છે.
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાજ્યનું સરેરાશ મતદાન 57% નોંધાયું છે. સવારે 9 વાગ્યે જે મતદાન માત્ર 4% થી 7% ની આસપાસ હતું, તે બપોરે 1 વાગ્યા સુધીમાં 20% થી 30% પર પહોંચ્યું અને અંતિમ કલાકોમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા આંકડો 57% ને પાર કરી ગયો છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. જણાવી દઈએ કે, ભારે ગરમીના કારણે બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે.
સુરત પાલિકાની ચૂંટણીમાં અન્ય લોકો સાથે સંતો દ્વારા પણ મતદાન કરી પોતાની પવિત્ર હક્ક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરતના વેડરોડ ખાતે આવેલા ગુરુકુળ સ્વામી સંતોએ મતદાન મથક પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યા હતા.
સુરત પાલિકાની ચુંટણીમાં અન્ય લોકો સાથે સાથે સંતો પણ મતદાન માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બુથમાં મતદાન કરનારા પ્રભુ સ્વામી એ જણાવ્યું હતું કે, જે દેશમાં આપણે રહીએ છીએ, તેના પ્રશાસનિક મૂલ્યોને અનુસરવાની આપણી પવિત્ર ફરજ છે. દેશની લોકશાહીને મજબૂત બનાવવી, મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવુ એ પણ એક ભક્તિ જ છે. જે ધરતીનું અન્ન ખાઈ આપણે મોટા થયા છીએ, તે ધરતીની પ્રગતિમાં શક્ય એટલો સહયોગ આપવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. રાષ્ટ્રની પ્રગતિમાં અને સુરક્ષામાં જ આપણી અને ધર્મની પ્રગતિ અને સુરક્ષા છે. રાષ્ટ્રની પ્રગતિનું પ્રથમ શ્રેષ્ઠ પગલું યોગ્ય વ્યક્તિને મતદાન કરવું તે છે.
વધુમાં તેઓએ કહ્યું હતું જગતમાં અન્નદાન, ભૂમિદાન, ગૌદાન કે કન્યાદાનનો મહિમા છે, તેથી પણ સવાયો મહિમા લોકશાહીમાં દેશ હિતમાં મતદાન કરવાનો છે. અવશ્ય મતદાન કરવું એ નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે. માતૃભૂમિ નું ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર એટલે મતદાન,તે અમે કરી અમારી દેશ પ્રત્યેની ફરજ નિભાવી રહ્યાં છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 45 ટકા મતદાન થયું છે. ભારે ગરમીના કારણે બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે.
- મહાનગરપાલિકામાં 42.03 ટકા મતદાન
- નગરપાલિકામાં 52.03 ટકા મતદાન
- જિલ્લા પંચાયતમાં 51.99 ટકા મતદાન
- તાલુકા પંચાયતમાં 52.26 ટકા મતદાન
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. ગઈકાલે તબિયત લથડતા તેમને સારવાર આપવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી છાતીમાં દુખાવો ઉપડતા માત્ર 38 વર્ષની નાની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ આકસ્મિક નિધનને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
જામનગર મહાનગરપાલિકા ની વોર્ડ નંબર ત્રણની ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા દરમિયાન બપોરે ચારેક વાગ્યા આસપાસ દુઃખદ ઘટના બની હતી, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર નું ચાલુ મતદાન સમયે અવસાન થયું હતું. જો કે મતદાનની પ્રક્રિયા અવીરત ચાલુ રહી હતી, અને આ સંદર્ભમાં જામનગરના જિલ્લા કલેકટર દ્વારા રાજ્યના ચૂંટણી પંચ નો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો, અને સાંજે ૬.૦૦ વાગ્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવનારી મત ગણતરીની પ્રક્રિયાઓ પણ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું.
આણંદ જિલ્લાના પેટલાદમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક કરુણ ઘટના બની હતી, જેમાં ચૂંટણીની ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફના કર્મચારી અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હતું. સાંસેજ ગામે બુથ નંબર – 1 પરના મતદાન મથક પર કામગીરી દરમિયાન અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકશાહીના પર્વમાં પોતાની ફરજ બજાવતા કર્મચારીના અચાનક અવસાનથી સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
પાટણની બી.એમ. સ્કૂલ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર 65 વર્ષીય કમળાબેન સોલંકી નામની વૃદ્ધાનું મતદાન કરવા દરમિયાન હાર્ટ એટેક આવવાથી દુખદ અવસાન થયું છે. મતદાન મથકે પહોંચતા જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા, જ્યાં હાજર મેડિકલ ટીમે તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. અગાઉથી નાજુક તબિયત હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવા આવેલા વૃદ્ધાના આ આકસ્મિક મૃત્યુથી મતદાન કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું હતું.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

