Mumbai,તા.27
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘એક દિન’માં જોવા મળવાનો છે. ગઈકાલે રાત્રે આ ફિલ્મનો એક ખાસ મ્યુઝિકલ ઈવેન્ટ યોજાયો હતો, જેનું નામ એક દિન કી મહેફિલ રાખવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં આમિર ખાન પણ પુત્ર જુનૈદ સાથે હાજર રહ્યો હતો, પરંતુ પરફોર્મન્સ દરમિયાન અચાનક આમિર ખાન ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
એક દિન જુનૈદની ત્રીજી ફિલ્મ છે, જ્યારે થિયેટરમાં રિલીઝ થનારી તેની આ બીજી મૂવી છે. દીકરાને સફળતાના પગથિયાં ચઢતા જોઈને આમિર ખાન ઘણો ખુશ અને ગર્વ અનુભવી રહ્યો છે. જુનૈદની આગામી ફિલ્મના મ્યુઝિકલ ઈવેન્ટમાં આમિર ભરેલી સભામાં ભાવુક થઈ ગયો હતો. ઈવેન્ટના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે પોતાની શર્ટથી આંસુ લૂછતો જોવા મળી રહ્યો છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ સાઈ પલ્લવી અને આમિરનો પુત્ર જુનૈદ તેને શાંત પાડતા જોવા મળ્યા હતા.ઈવેન્ટમાં સાઈ પલ્લવીએ ફિલ્મ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે આ તેની પહેલી હિન્દી ફિલ્મ છે, તેથી તે ઘણી નર્વસ અનુભવી રહી છે. બીજી તરફ, આમિરે સાઈ પલ્લવીના વખાણ કર્યા હતા. આમિરે કહ્યું- “મારા માટે સાઈ પલ્લવી આ સમયે આપણા દેશની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી છે. જુનૈદ પણ ઠીક-ઠાક છે. તે મારો દીકરો છે એટલે વધુ કંઈ કહી શકું નહીં.”એક દિન ફિલ્મથી સાઉથ સ્ટાર સાઈ પલ્લવી પોતાનું હિન્દી ડેબ્યૂ કરી રહી છે. તેની સાથે આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન લીડ રોલમાં જોવા મળશે. સુનીલ પાંડેએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે, જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર આમિર ખાન છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જે 1 મે 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

