Rajkot તા. ૦૯
મે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે ’ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ’નો પ્રારંભ કરાયો છે. ગુજરાત સરકારના શ્રમ ખાતાં અંતર્ગત અમદાવાદની મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા આયોજિત આ ટૂંકાગાળાનો અભ્યાસક્રમ અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે આગામી તા. ૨૨ મે સુધી કાર્યરત રહેશે, જેનો હેતુ ગ્રામીણ યુવાનોને રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ કરવાનો છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, યુવા રોજગાર સજ્જતા કાર્યક્રમનો આશય ધોરણ ૧૦ કે ૧૨ પાસ કર્યા પછી કઈ દિશામાં આગળ વધવું, તેની મૂંઝવણ અનુભવતા યુવાનોને માર્ગદર્શન આપી નોકરી કે વ્યવસાય કરવા માટે તૈયાર કરવાનો છે. આ કોર્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી, યુવાનો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજગારી મેળવી શકે. આ વિસ્તારના દીકરા-દીકરીઓ પગભર બને, તેવા ઉદ્દેશથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજના સમયમાં સ્કીલ બેડ કોર્સ કરવા ખૂબ જરૂરી છે. સ્થાનિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી, જમીન માપણી, ફાયર સેફ્ટી અને સેનિટરી ઇન્સ્પેક્ટર જેવા આધુનિક કોર્સનું આયોજન છે, જે વ્યાજબી દરે કે વિનામૂલ્યે શીખવવામાં આવશે. આઇ.ટી.આઇ.માં બહેનો માટે બ્યુટી પાર્લર જેવા કોર્સની પણ સુવિધા છે. આ તમામ કોર્સ સરકારી પ્રમાણપત્ર સાથેના હોવાથી ભવિષ્યમાં નોકરી મેળવવામાં અને સ્વરોજગાર ઊભો કરવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમની શરૂઆત મંત્રીશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય થકી કરાઈ હતી, ત્યારબાદ મંત્રીશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરીને તેમનું અભિવાદન કરાયું હતું. આ અવસરે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. મિશાબેન વ્યાસે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. સુમનબેન વૈષ્ણવે આ તાલીમની રૂપરેખા અને તેના મહત્વ વિશે સમજ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના ડાયરેક્ટર જનરલ શ્રી પ્રવીણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યુવા રોજગાર સજ્જતા કાર્યક્રમમાં સોફ્ટ સ્કીલ, ગ્રામ્ય પત્રકારત્વ, એ.આઈ. મિત્ર અને એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ () જેવા આધુનિક વિષયોની તાલીમ અપાશે. જેમાં ધોરણ ૧૦ પાસ થયેલા વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા દ્વારા અમદાવાદ જિલ્લાની બહાર પ્રથમ વખત રાજકોટ જિલ્લાના અમરાપુર ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ નિઃશુલ્ક તાલીમ હાથ ધરવામાં આવી છે. આ તકે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. પ્રાપ્તિબેન શાહ સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

