Gandhinagar, તા.16
મધ્ય પૂર્વના યુધ્ધની અસરથી સર્જાયેલા પેટ્રોલીયમ સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 3-3 રૂપિયાનો ભાવવધારો જાહેર કરાયો છે. છેલ્લા દિવસોમાં મોંઘવારીના એક પછી એક ડામ આપવાનું શરુ થયું હોય તેમ હવે ગુજરાતમાં પણ સીએનજી મોંઘો થયો છે. આવતા દિવસોમાં પેટ્રોલીયમ ચીજોમાં વધુ ભાવવધારાની આશંકા ઉભી જ છે જ્યારે મોંઘવારી મોરચે સરકાર અને નાગરિકોને બન્ને માટે મોટો પડકાર ઉભો થઇ શકે છે.
ભારતમાં પેટ્રોલીયમ કંપનીઓએ ગઇકાલે જ પેટ્રોલ-ડિઝલ મોંઘા કર્યા હતા. દિલ્હી-મુંબઇમાં સીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે. રાજ્યોમાં અલગ-અલગ સીએનજી કંપનીઓ હોવાથી સ્વતંત્ર નિર્ણય થતાં હોય છે. આખા દેશમાં સમાન ધોરણે લાગૂ થતાં નથી.
હવે ગુજરાતમાં પણ સીએનજી મોંઘો કરાયો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિકિલો રૂા.2.24નો ભાવવધારો ઝીંકાતા નવો ભાવ 86.15 પર પહોંચ્યો છે. કંપનીએ આ પૂર્વે ગત એપ્રિલમાં 1.50નો ભાવ વધારો ઝીંક્યો હતો.
સૌરાષ્ટ્રમાં ગેસ સપ્લાય કરતી કંપની ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીમાં 2.75નો ભાવવધારો ઝીંકાતા નવો ભાવ 83.01 થયો છે. આ ભાવ વધારાથી સીએનજીથી દોડતા વાહનો-રીક્ષા ચાલકો પર બોજ પડશે. રીક્ષા ચાલકો પણ ભાડા વધારો કરે તેવી શક્યતાને પગલે નાગરિકો પર બોજ પડશે.
દરમિયાન જાણકારોના કહેવા પ્રમાણે પેટ્રો-ડીઝલમાં 3-3 રૂપિયાનો ભાવવધારો કર્યો હોવા છતાં પેટ્રોલીયમ કંપનીઓની ખોટ જંગી જ બની રહે તેમ છે. ફેબ્રુઆરીના અંતે ઇરાન યુધ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં પણ 50 ટકાનો વધારો છે. માર્કેટીંગ કંપનીઓને મોટું નુકશાન છે. એક વધારાથી નુકશાની સરભર થઇ શકે તેમ નથી. આવતા દિવસોમાં હજુ ભાવવધારો થવાના ભણકારા છે.
પેટ્રોલીયમ કંપનીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે 3-3 રુપિયાનો ભાવવધારો કરવા છતાં કંપનીઓને હજુ પેટ્રોલ પર પ્રતિ લીટર રૂા.11 તથા ડિઝલ પર રૂા.39ની ખોટ થઇ રહી છે.
પેટ્રોલીયમ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં ક્રૂડતેલ-એલએનજીની કિંમત હજુ ઉંચી જ રહેવાના સંજોગોમાં તેલ કંપનીઓ પર દબાણ બની રહેશે. વિદેશી હુંડિયામણ પર પણ બોજ પડી શકે છે. સતત ત્રીજા વર્ષે ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો થવાની શક્યતા છે.

