જૂનાગઢના મહિપત બસીયા, ગોંદરાના દેવા, રબારીકાના અશોક અને કાનભાઈ સામે કલરના વેપારી સત્યેન્દ્રસીંગ ઉર્ફે સીકંદરે ફરિયાદ નોંધાવી
પકડાયેલ અશોક લાલુ પાસેથી ફરિયાદી સિકંદરના બે કોરા ચેક મળ્યા, ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિના નામનો રૂ.4.50ની રકમ ભરેલો ચેક પણ કબ્જે લેવાયો
Jetpur, તા.23
જેતપુરમાં વ્યાજખોરો સામે ગુનો નોંધી ઓફિસમાં દરોડો પાડતા એક આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી બે કોરા અને એક રકમ ભરેલ ચેક મળ્યો છે. જૂનાગઢના સૂર્ય મંદિર પાસે, જોષીપુરામાં રહેતા મહિપત દડુ બસીયા, ગોંદરાના દેવા, રબારીકાના અશોક મનુ લાલુ અને કાનભાઈ બબાભાઈ લાલુ સામે કલરના વેપારી સત્યેન્દ્રસીંગ ઉર્ફે સીકંદરે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મહિપત બસીયાની જેતપુરના અમરનગર રોડ પર, જય શક્તિ કોમર્શિયલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલ સૂર્યા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દરોડો પાડતા ત્યાંથી અશોક લાલુ મળી આવેલ. તેની પાસેથી 40 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી આવતા કબ્જે લેવાયા હતા. જ્યારે ફરિયાદી સિકંદરના ખાતાના બે કોરા ચેક અને એક અન્ય વ્યક્તિનો ચેક જેમાં 4.50 લાખ ભરેલા હતા પણ તારીખ લખેલી નહોતી. તે ચેક પણ કબ્જે લીધો હતો.
સત્યેન્દ્રસીંગ ઉર્ફે સીકંદર બુધનસીંગ કુશવાહા (ઉ.વ.40, રહે. અમરનગર રોડ, વિવેકાનંદ સ્કૂલ પાછળ, સ્વામિનારાયણ નગર, જેતપુર, મુળ ભોજપુર ગામ, તા.ધરાહરા, જિ.બકસર, બિહાર)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું જેતપુરમાં મારા માલિકીના મકાનમાં છેલ્લા 28 વર્ષથી પત્ની અને સંતાનો સાથે રહું છું. હું કલરના ડબ્બા મંગાવી હોલસેલમાં વેપાર કરું છું. મારા ભાગીદાર યુવરાજસિંહ સજુભા ગોહીલનું દોઢ વર્ષ પહેલા મોત થયા પછી ધંધો ભાંગી પડેલ. રૂપિયાની જરૂરીયાત ઉભી થતા હતી. જૂનાગઢના મહીપત પાસેથી રૂ.20 લાખ 3 ટકા વ્યાજે લીધેલ. ધંધામાં વધારે કોઈ નફો ન થયો. પછી મેં મારા મકાન ઉપર કેપરી ફાઈનાન્સ કંપનીમાંથી રૂ.28 લાખની લોન લીધી અને રૂ.8 લાખ મહિપતને આપેલ. હવે તે મારી પાસે રૂ.12 લાખ માંગે છે. જેથી દર મહિને રૂ.36,000 વ્યાજના હું તેમને ભરુ છું.
વધુમાં સિકંદરે જણાવ્યું કે, એક વર્ષ પહેલા રબારીકાના અશોક પાસેથી રૂ.12 લાખ 6 ટકાના વ્યાજે લીધેલ. મકાનની લોનમાંથી રૂ.7 લાખ અશોકને આપેલ. તેને હવે રૂ.5 લાખનું દર મહીને રૂ.30,000 વ્યાજ ભરુ છું. ગોંદરાના દેવા પાસેથી એક વર્ષ પહેલા રૂ.2.50 લાખ 5 ટકાના દરે વ્યાજે લીધેલ. મકાનની લોનમાંથી વ્યાજ સહીત તેને રૂ.2.30 લાખ આપી દીધેલ. હવે તે રૂ.70 હજારની માંગણી કરે છે. ફોન કરી ધમકાવે છે. ઉપરાંત રબારીકાના કાનભાઈ પાસેથી એક વર્ષ પહેલા રૂ.2.90 લાખ 5 ટકાના વ્યાજે લીધેલ.
તેને રૂ.2.70 લાખ આપી દીધેલ. છતા વ્યાજના રૂ.50 હજાર અને મુડીના રૂ.20 હજારની માંગણી કરે છે. ફોન કરી ધમકાવે છે. આરોપીઓએ ફોન ઉપર અને રૂબરૂ અવાર નવાર અપશબ્દો કહીં ધમકી આપી, તું વ્યાજની રકમ તથા મુદ્દલ રકમ અમને આપી દેજે નહિંતર અમે અમારી રીતે કઢાવી લઈશું. તેમ કહીં ધાક-ધમકી આપી હતી. તેવો આક્ષેપ છે. પોલીસે ગુનો દાખલ કરી અન્ય પકડવાના બાકી છે તે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઈ એ.ડી.પરમાર, ભાવેશભાઈ ચાવડા, રવજીભાઇ હાપલીયા, ચંદ્રસિંહ વસૈયા, સાગરભાઈ મકવાણા, જયેશભાઇ દાફડા, શક્તિસિંહ ઝાલા, સાગરભાઇ ઝાપડીયા, ભરતભાઇ ગમારા વગેરે ફરજ પર રહ્યા હતા.
મહિપત બસીયા સામે અગાઉ 7 ગુના છે, વ્યાજંવાદીનો ભોગ બનનારને ડર્યા વગર સામે આવવા પોલીસની અપીલ
મહિપત બસીયા સામે અગાઉ વિરપુર પોલીસ, જૂનાગઢ તાલુકા, જૂનાગઢ બી.ડિવિઝન, જેતપુર સિટી અને ઉના પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ ગુના દાખલ થયા છે. પોલીસે અપીલ કરી છે કે, વ્યાજંવાદીઓનો ભોગ બનનાર ડર્યા વગર સામે આવે અને ફરિયાદ નોંધાવે.