ફાલ્ગુની વસાવડા
માનસ રત્નાવલીનાં આઠમાં દિવસની કથાની શરૂઆત ઋગ્વેદના પ્રથમ મંત્રથી કરી, અને એમાં રત્ન શબ્દનો પ્રયોગ છે. આચાર્યોએ અને ભાષ્યકારોએ મંત્રનું અનેક પ્રકારે ભાષ્ય કર્યું છે, પરંતુ એનો સર્વ સામાન્ય અર્થ એ છે કે, રત્ન યજ્ઞના અગ્નિમાંથી પ્રાપ્ત થાય છે, અને એ રીતે રત્નનો તેજ તત્ત્વ સાથે, પ્રકાશ ઉર્જા તત્વ સાથે સંબંધ છે. આ ઉપરાંત રત્નોની ઉત્પત્તિ વિશે વાત કરતાં કહ્યું કે કોઈ રત્ન પ્રાણીનાં શરીરમાંથી પ્રાપ્ત થાય, એને પ્રાણીજ કહેવાય, ગજ નામનાં હાથી માંથી રત્ન પ્રાપ્ત થયું હતું. જમીનમાંથી પ્રાપ્ત થાય એને ખનીજ કહેવાય, પાણીમાંથી મળે એ વારિજ. રત્નો ઘણા પ્રકારનાં હોય છે, પરંતુ રત્નાવલી વિશે આપણને ગાન કરવાનો અવસર મળ્યો છે તો, રત્નાવલીજી રત્નોની હાર માળા છે. નવ રત્નોમાં, પોખરાજ, નીલમ, હીરા, માણેક, મોતી, એમ એનો વિસ્તાર મોટો છે.
ભગવાન રામ રત્ન છે રઘુવંશમણી, એ રત્ન યજ્ઞ કુંડ માંથી પ્રાપ્ત થયું છે. પૃથ્વીમાંથી જે રત્ન મળ્યું એ છે માં જાનકી. જળ માંથી જે રત્ન નીકળ્યું એ ભગવતી લક્ષ્મી. દ્વાપરયુગમાં અગ્નિકુંજ માંથી એક રત્ન નીકળ્યું, એનું નામ છે દ્રૌપદી. બુદ્ધ પરંપરામાં પણ રત્નનો મહિમા છે, પ્રથમ રત્ન, બુદ્ધ શરણં ગચ્છામિ. બીજું રત્ન છે, ધર્મ, જેને બોધની બોલીમાં ધમ્મ શરણં ગચ્છામિ. સંઘં શરણં ગચ્છામિ.
જૈન પરંપરામાં પણ રત્નોની વાત આવે છે એ લોકો રત્નત્રૈયી શબ્દનો ઉપયોગ કરે છે. સમ્યક દર્શન ને રત્ન કહેવામાં આવે છે. યથા યોગ્ય દર્શનને પણ રત્ન માનવામાં આવ્યું છે. સમ્યક્ જ્ઞાન, સમ્યક સમજ, અને ને સમ્યક ચરિત્ર એ ત્રણ જૈન પરંપરામાં રત્ન મનાય છે. ચાણક્ય એ પણ પોતાની રચનાઓમાં રત્નની ચર્ચા કરી છે, તો વેદોથી લઈને રત્નોની આખી પરંપરા છે. રામચરિત માનસમાં નવરત્નોની વાત આવે છે, અને એટલા માટે માનસ રત્નાવલી એ રત્નની માળા છે, અને દરેક નારી રત્ન છે.
એક પ્રશ્ન આવ્યો છે કે, રામ કથામાં વારંવાર સાધનાની સૂક્ષ્મ અવસ્થાની વાત આપ કરો છો, તો સ્થૂળતા અને સૂક્ષ્મતાનો શું અર્થ છે?; એક જ ચેતનાની બે અવસ્થાઓ કઈ રીતે ભિન્ન હોઈ શકે?(૧) કહહુ ભગતિ પથ કવન પ્રયાસા, (૨) રઘુપતિ ભક્તિ કરત કઠિનાઈ. પહેલા તો સાધનાની સ્થૂળતાને જોવી પડશે, સીધા આપણે સૂક્ષ્મમાં નથી જઈ શકતાં, સૂક્ષ્મનો પરિચય પણ સ્થૂળમાંથી જ થાય છે.
ભક્તિની સુક્ષ્મતાને કે સાધનાની સૂક્ષ્મતાને પકડવા માટે કેટલીક વસ્તુને હટાવવી પડે છે નવ પ્રકારનાં આશ્રયોને છોડવા પડે ત્યારે સૂક્ષ્મતાની પ્રાપ્તિ થાય છે (૧) ધનાશ્રય છૂટે, એટલે ધનવાનો એ ધન છોડી દેવું એવી વાત નથી, પરંતુ ધનવાન કૃપણ ન બને, અને ધનનો અહંકાર ન આવે. આપણા ધન દ્વારા બીજાની સાથે છળ કપટ ન કરીએ. (૨) ધર્માશ્રય પણ છોડવો પડે, આ સમજવું કઠિન છે, કૃષ્ણએ કહ્યું છે સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહ, એટલે કે સ્વધર્મ છોડવો જોઈએ નહીં, પરંતુ આપણી ગતિ સ્થૂળ છે ત્યાં સુધી ધર્મના આશ્રયમાં રહેવું, પરંતુ સૂક્ષ્મતાની માંગણી હશે, તો ધર્મ છોડવો પડશે કારણ કે અંતે તો કૃષ્ણ પણ અર્જુનને સૂક્ષ્મતામાં લઈ જાય છે, ત્યારે એમ જ કહે છે કે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. વ્યાસપીઠની ધર્મની વ્યાખ્યા સત્ય, પ્રેમ, અને કરુણા છે એને છોડવાની અહીં વાત નથી, પરંતુ સંપ્રદાયરૂપી ધર્મ છોડવાની વાત છે. મારો ધર્મ મહાન, મારો ધર્મ મોટો, તારો નાનો, એ યુદ્ધનું કારણ બને છે, એવા ધર્મોને છોડવાના છે. (૩) જનાશ્રય છોડવો પડે, એટલે કે મારી પાસે આટલા શિષ્યો, આટલા ફોલોવર્સ, મને લાઈક કરનારા, આટલા માણસો મને સાંભળે! એ રીતે જનાશ્રય છોડવાનો છે. (૪) જડાશ્રય છોડવો પડશે, સાધક બન્યા પછી આમ તો કરવું જ જોઈએ, એવી ઘણી પ્રકારની જડતા આપણામાં આવી જાય છે, એને છોડી ચેતનાનો આશરો કરવો. જડ ચેતનહિ ગ્રંથિ પરિ ગઈ! (૫) દેવાશ્રય છોડવો પડશે. એટલે ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. જેમ મીરાં એ કહી દીધું “મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ” જાકે સિર મોર મુકુટ મેરે પતિ સોઈ, એટલે કે પરમ ઈષ્ટને આશ્રયે રહેવું. (૬) જ્ઞાનાશ્રય પણ છોડવો પડશે. જ્ઞાનથી જ મુક્તિ મળે! પણ ગ્રંથ ગરબડ કરી એમ થોડી માહિતી એકઠી થાય, એટલે જ્ઞાનને નામે અહમ વધે! એટલે.( ૭) સુખ દુઃખનું દ્વન્દ્વ છૂટવું જરુરી છે. કેટલાંક લોકો સુખનો આસાનીથી સ્વીકાર કરી લે, પણ જરાક દુઃખ આવે એટલે ઈશ્વરને ફરિયાદ કરે છે. મા કુંતા તો વિપત્તિ માંગે છે, અને કહે છે કે કૃષ્ણ અનુસંધાન બની રહે! પણ સુખ દુઃખ બંનેનો સહજ સ્વીકાર કરી શકે, એ સુક્ષમતામાં પ્રવેશ કરશે. (૮) શબ્દાશ્રય છોડી શૂન્યાશ્રય કરવો પડશે. પ્રશ્નોનાં જવાબ આપવામાં (૯) છૂટી ગયું હશે.
ગુરુભક્તિ કેવી રીતે કરીએ એ પ્રશ્નનાં જવાબમાં કહ્યું કે માનસમાં કહ્યું છે, આજ્ઞા સમ ના સુસાહિબ સેવા. ગુરુએ જે આજ્ઞા આપી છે એને અનુસરવાનું! એ જ ગુરુભક્તિ છે. શું ગુરુની માનસિક સેવા પર્યાપ્ત છે? શ્રીમન વલ્લભાચાર્ય એ પણ માનસિક પૂજાની વાત પર બહુ ભાર મૂક્યો છે. જ્યારે શાંકર સ્તોત્રમાં તો માનસ પૂજાનું આખું એક સ્તોત્ર છે. રત્ન કલપિતમાસનં હિમજલે સ્નાનં ચ દિવ્યાંમ્બરં.
ભગવાન રામ સુખ દુઃખમાં સમ કંઈ રીતે રહી શક્યાં, એનું દ્રષ્ટાંત અયોધ્યાકાંડના આરંભમાં થાય છે. આગલે દિવસે ભગવાન રામના રાજ્યાભિષેકની ઘોષણા થઈ, પરંતુ રામના ચહેરા પર અતિ પ્રસન્નતાનો ભાવ આવ્યો નહીં, અને બીજે દિવસે રામને વનવાસ થયો છે, એ વાત થઈ, તો એમને ગ્લાનિ પણ થઈ નહીં, એટલે કે એ બંને સ્થિતિમાં સમ રહ્યાં, અને આવા રામભદ્રની વંદના કરીએ છીએ, એમણે શીખવેલ સ્થિતિમાંથી સાધક પસાર થાય ત્યારે સુખ દુઃખમાં સમ રહી શકે.
રાજા દશરથને અરીસામાં પોતાનો મુગટ ત્રાસો દેખાયો, અને રાજગાદી રામને સોંપવાનો વિચાર આવ્યો! આ બતાવે છે કે ચારે બાજુથી જય જય કાર થતો હોય, સર્વ શક્તિમાન હોઈએ, છતાં ઉંમર થતાં અરીસામાં જોઈ લેવું, એટલે કે આત્મદર્શન કરી અને પદ છોડવાના નિર્ણયો લેવા. કૈકેયીના વચનોથી રામને વનવાસ, અને ભરતને રાજગાદી! રામ, લક્ષ્મણ, જાનકી, ચૌદ વર્ષના વનવાસ માટે નીકળે છે, તમસાના તટ પર પ્રથમ રાત્રે મુકામ કર્યા, પછી ભગવાન રામ સૌને છોડીને સુમંત સાથે રથમાં નીકળી જાય છે, શૃગવેર પૂરથી સુમંતને પણ પાછાં મોકલે છે. સુમંત પાછા અયોધ્યા આવે છે, દશરથજી પાસે જાય છે, રામ પાછા નથી આવ્યા, તપસ્વી શ્રાવણ કુમારના શ્રાપનું સ્મરણ થયું, અને મહારાજ છ વાર રામ મંત્રનું ઉચ્ચારણ કરીને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરી શ્રીધામ ચાલ્યા ગયાં. ચિત્રકૂટમાં રામ ભરત મિલાપ થાય છે, અને રામની પાદુકા લઈ ભરત પાછા ફરે છે, પછી અરણ્ય કાંડમાં શૃંગાર નું વર્ણન છે ભગવાન રામ સીતા સાથે બેઠા છે અને ઈન્દ્ર પુત્ર જયંત ની ચેષ્ઠા નો પ્રસંગ પછી ચિત્રકૂટ છોડ્યું. કિષ્કિંધા કાંડમાં હનુમાનજીનું આગમન, રામ અને સુગ્રીવ ની મૈત્રી. સુંદરકાંડમાં શ્રી હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરી પાછા આવ્યા, અને રામ સેનાએ સેતુબંધનું નિર્માણ કર્યું, ત્યાં સુધીની કથા કરી આઠમા દિવસની કથા અને વિરામ આપ્યો.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

