ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. એકબાજુથી અમુક લોકો આપણાં વડાપ્રધાનની ઠેકડી ઉડાવે છે, તો કેટલાંક એની પર યુદ્ધનાં સમયે આમ બેફિકર બની વિદેશ પ્રવાસનું આયોજન કરીને કેટલુંય ઈંધણ પોતે જ વાપરે છે, અને પ્રજા પર પ્રતિબંધ મુકે છે! જ્યારે કેટલાક જનતાનાં લાભ માટે જ ગયાં છે, અને આ ચાર દેશ સાથે એમણે કંઈ કંઈ ડીલ કરી, એનાથી આમ જનતાને વાકેફ કરે છે! પણ શું ખરેખર પ્રજાને લાભ થશે? કારણકે આ રાજકારણની અટપટી ને ચટપટી રમતમાં આપણને ટપ્પો પડે નહીં! અને લાભ નો લાડું મોટેભાગે સૌને એકલાને જ ખાવો હોય છે! પેલા ઉદાહરણ જેમ સાક્ષાત્ ઈશ્વર પ્રસન્ન થઈ વરદાન માંગવા કહે, અને સાથેસાથે એ પણ કહે કે, વરદાનમાં તને જે મળશે, એનાથી બમણું તારા પાડોશીને મળશે! તો ધન ઐશ્વર્ય તો કોઈ માંગે જ નહીં! એટલું તો પાક્કું! અને એટલે જ સમાજ હિંસક બનતો જાય છે! શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે! આજે એ પ્રાર્થના લોકો ભૂલતા જાય છે! પ્રાર્થના કદાચ ગવાતી હોય! પણ શુભની ભાવના મેસેજ ફોરવર્ડ માટે અનામત રાખી છે! હમણાં તો મારે વોટ્સએપ જોવાનો સમય જ નથી મળતો! નહીં તો ગુડ મોર્નિંગનાં મેસેજમાં કેવાં કેવાં સુવિચાર ફોરવર્ડ થાય છે! અને આપણને વિચાર આવે કે, લોકોની વૈચારિકતાનો આ બદલાવ યુગ પરિવર્તન લાવીને જ રહેશે! પણ લાભ નું આ સ્ટીકર આપણી આંખ પર એવું ચીપકી ગયું છે કે, સૌથી મહત્વનો લાભ થયો, એટલે તો મનુષ્ય અવતાર મળ્યો! અને મનુષ્યને આ જીવનયાત્રામાં પરમાત્માનાં સાક્ષાત્કારની તક પણ મળી છે, એ દેખાતું નથી! અને પરમ તત્વને જોવા જાણવાની ઈચ્છા નથી! કારણકે પોતાનાથી થશે કે કેમ ? એ વિશે ભ્રમ છે, બીજું કેટલોયં સમય લાગી જાય અને, એથીય વધુ એમાં સુખ છે કે નહીં? એ વિશે પણ શંકા છે! તો આવાં જ ભાવનો સંદર્ભ આજનાં ચિંતનનો છે! ભગવત્ ગીતાનાં છઠ્ઠા અધ્યાયનાં 22 માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન!
**યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ ।
યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલયતે ॥
જે પરમ સુખ અથવા આત્મિક શાંતિ પ્રાપ્ત થયા પછી માણસને લાગે કે હવે આથી મોટો કોઈ લાભ નથી, અને જેમાં સ્થિર થયા પછી જીવનનાં ભારે દુઃખો પણ તેને હલાવી શકતા નથી. **હવે આ શ્લોકની વાત કરીએ તો “અપરં લાભં” કહીને ભગવાન સ્વયં આપણને બહુ મોટાં લાભની વાત કહીને, ઈશ્વર સાક્ષાત્કાર માટે નિમંત્રણ આપે છે, કે મારાં વ્હાલા જરાક આ પણ ટ્રાય કરી જો! અને જો ભાવી જાય! તો પછી બીજો રસ સ્વાદ કંઈ યાદ જ નહીં રહે! અને એ રીતે જોઈએ તો આપણી જ આપણાં દુઃખોને દૂર કરવાની કોઈ તાલાવેલી નથી! આમ સાર્વજનિક ઘોષણા કરી છતાં મૃત્યુ સુધી બાકીનું બધું ભાવ્યું! અરે વધું ને વધું ભોગવી શકાય એટલે દવાને નામે કેટકેટલું કડવું ગળ્યું! દેહ તો દેવળ છે, એનું જતન બિલકુલ જરૂરી છે. સ્થૂળ રુપે કેરીનો રસ પીધાં પછી તૃપ્તિ થાય છે, આંબે મ્હોર આવે અને કેરી બને ત્યાંથી એ પાકે ત્યાં સુધી જેણે કેરીનું જતન કરી એમાં આ રસ ને ભર્યો! એ હરિ નામનું ફળ કેટલું તૃપ્તિ દાયક હશે? એવો વિચાર આપણને આવ્યો જ નહીં!
**નાધિકં તતઃ, તેનાથી વધુ કંઈ નથી! પરંતુ આ તો જેણે જાણ્યું એની વાત છે! પરંતુ માનવી યોગી થઈ આટલી ઉંચી કક્ષાએ પહોંચે ત્યારે તેને સમજાય કે આ સૌથી શ્રેષ્ઠ છે! પરંતુ આવો સિદ્ધ યોગ આપણાથી થઈ શકે એમ નથી, તો આપણી માટે શું શ્રેષ્ઠ છે? આપણી વૃત્તિઓનું ચિંતન કરી જે જે આપણને ગમતું હોય! એટલે કે કંઈ વાનગી ભાવે છે? કેવો પહેરવેશ ગમે છે? ક્યાં જવું ગમે છે? મનોરંજન ને નામે શું શું ગમે છે? એનો ખર્ચની નિયત રકમમાંથી અન્ય એક જરુરીયાતમંદનો ભાગ પાડવો, એટલે કે આપણાં સિવાય કોઈ એક પોતાની પસંદ મુજબ જીવી શકે! અને એવું જ્યારે થશે ત્યારે જે આનંદ મળશે ત્યારે જ સમજાશે કે આનાથી વધુ કંઈ જ નથી!
**ગુરુણાપિ વિચાલયતે, એટલે કે જે ભારે માં ભારે દુઃખોથી વિચલિત થતાં નથી. હવે અહીં ભગવાન દુઃખની વાત કરે છે પણ કયું દુઃખ? હકીકતમાં આપણે અભાવો કે અસુવિધા ને દુઃખ નામ આપી દીધું છે. હાં શારિરીક રોગ દુઃખનું કારણ ચોક્કસ બની શકે! પરંતુ આ માનસિક રોગ નું દુઃખ આપણને વધુ છે! કોઈવાર માથું દુખતું હોય અને એમ થાય કે અતિશય દુઃખ છે, પણ એટલીવારમાં આસપાસથી કોઈ આવે અને ફલાણાં ફલાણાં ની નીંદા શરૂ કરે, તો શારિરીક દુઃખ મોટેભાગે ભૂલાઈ જાય છે, અને એ દુઃખને સ્થાને નિંદા, ઈર્ષા, દ્વેષ, જેવાં મનો વિકાર આપણાં માનસમાં સ્થાન જમાવી લે છે, અને એ આપણને આપણા મુખ્ય લક્ષ્યથી વિમુખ કરે છે! અથવા તો સામેવાળામાં ઈશ્વર દર્શન કરવાં દેતી નથી!
ભગવાન શ્રીકૃષ્ણ તો અહીં યોગ નામનાં સાધન દ્વારા સાધકે પ્રાપ્ત કરેલી સર્વોચ્ચ સ્થિતિની કક્ષાના યોગીની અનૂભૂતિ શું હોય એ કહ્યું છે! પરંતુ આપણે સંસારીઓ યોગ નહીં ભોગ સાથે એટલી તાદમ્ય રીતે જોડાયેલા છીએ કે ભોગ જ સર્વોપરી સુખ છે એ ભ્રમમાં બ્રહ્મ ભૂલાઈ ગયો! પણ એમાં આપણો કોઈ દોષ પણ નથી! કારણકે આપણી આસપાસ આસાનીથી મળી શકે એવાં સુખ નામક ભ્રાંતિનો મેળાવડો લાગ્યો છે! અને જેમ રેસ્ટોરન્ટમાં જઈએ અને ત્યાંની એક પછી એક ડિશ ટ્રાય કરતાં હોઈએ છીએ! કોઈ આપણી પહેલા ગયું હોય અને કહે કે ત્યાંની આ ડિશ તો બહું જ ટેસ્ટી છે, તો એ રીતે પણ.. 25 વર્ષ સુધી જે થયું એ બધું ક્ષમ્ય છે! 25 થી 50 વર્ષમાં પણ પરિવાર પોષણ અને વ્યવહાર માટે ક્ષમ્ય ગણી લઈએ! પણ પછી શું થાય કે હવે જ તો જવાબદારી માંથી ફ્રી થયાં! અને આમ એક બે દસકા નીકળી જાય! અને એટલે જ જીવ થઈને આવ્યાં અને જીવની કક્ષાએ જ વિદાય થઈએ છીએ! આપણે સૌ અપરં લાભં એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર નહીં પણ છેવટે પ્રતિતિ સુધી પહોંચી મનુષ્ય જન્મ સફળ કરી શકીએ,
એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

