New Delhi,તા.02
આફ્રિકાના કેટલાક ભાગોમાં ઈબોલા વાઈરસના નવા કેસો સામે આવ્યા બાદ ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંગે એક પબ્લિક હેલ્થ એડવાઈઝરી એટલે કે આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી છે કે દેશમાં હાલ ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને હાલમાં ઈબોલા પ્રભાવિત દેશોની મુસાફરી કરીને પરત ફરેલા લોકોને વધુ સાવધ રહેવા અને લક્ષણો દેખાય તો તુરંત જાણ કરવા અપીલ કરાઈ છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, જે વ્યક્તિઓએ છેલ્લા 21 દિવસમાં ઈબોલા પ્રભાવિત દેશોનો પ્રવાસ કર્યો હોય અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ એટલે કે પસાર થયા હોય, તેમણે પોતાના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવી જરૂરી છે. જો આ સમયગાળા દરમિયાન તાવ, માથાનો દુખાવો, અસહ્ય સ્નાયુઓનો દુખાવો, ઊલટી, ઝાડા અથવા શરીરમાંથી અચાનક લોહી નીકળવા જેવા લક્ષણો દેખાય, તો ગભરાયા વગર તરત જ પોતાની જાતને આઇસોલેટ કરી લેવી જોઈએ અને સ્થાનિક આરોગ્ય તંત્રને જાણ કરવી જોઈએ.મંત્રાલયે લક્ષણોની વહેલી જાણ કરવા પર ભાર મૂકતા કહ્યું છે કે, સમયસર લેવાયેલા પગલાં દર્દીનો જીવ બચાવી શકે છે અને રોગચાળાને ફેલાતો અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. કોઈપણ પ્રકારની માહિતી કે તાત્કાલિક સહાય માટે સરકારે 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર 1075 પણ જાહેર કર્યો છે, જેના પર નાગરિકો સંપર્ક કરી શકે છે.વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા અનુસાર, ઈબોલા એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે. ભૂતકાળના આંકડા જોઈએ તો આ બીમારીમાં મૃત્યુદર સરેરાશ 50 ટકા જેટલો રહ્યો છે, જે કેટલાક કિસ્સાઓમાં 25 થી લઈને 90 ટકા સુધી પણ પહોંચી શકે છે. આ વાઈરસ સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના લોહી, લાળ કે અન્ય શારીરિક પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. નિષ્ણાતોના મતે, આ વાઈરસનો ઇન્ક્યુબેશન પિરિયડ (લક્ષણો દેખાવાનો સમય) મહત્તમ 21 દિવસનો હોવાથી, વિદેશથી આવતા મુસાફરો માટે આ 21 દિવસની દેખરેખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

