Dahod ,તા.૨
Dahod જિલ્લામાં આવેલા ભારે પવન અને વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. ગરબાડા ચોકડી નજીક એક મહાકાય સાઈન બોર્ડ અચાનક પવનના જોરદાર ઝાપટામાં તૂટી પડતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, જિલ્લામાં અચાનક હવામાન પલટો થતાં તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. આ દરમિયાન ગરબાડા ચોકડી વિસ્તારમાં લગાવવામાં આવેલું વિશાળ સાઈન બોર્ડ પવનનો માર સહન કરી શક્યું ન હતું અને નીચે પસાર થઈ રહેલા લોકો પર ધરાશાયી થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોના જીવ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વાવાઝોડાના કારણે Dahodના અનેક વિસ્તારોમાં વૃક્ષો ઉખડી પડ્યા હતા તેમજ વીજ પુરવઠાને પણ અસર પહોંચી હતી. કેટલાક સ્થળોએ પતરાના શેડ અને અન્ય હંગામી માળખાં પણ તૂટી પડ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલો સામે આવ્યા છે.
ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાહેર સ્થળોએ લગાવવામાં આવતા મોટા સાઈન બોર્ડ અને માળખાંની ગુણવત્તા તથા સલામતી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેટલાક લોકોએ સ્માર્ટ સિટી હેઠળ કરવામાં આવેલી કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. વાવાઝોડાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને જાહેર સલામતીના મુદ્દે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ કરી છે.

