Rajkot તા.22
રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે આવતીકાલ તા.23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ-2026 તથા ક્ધયા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 23મી જૂનથી 11 તાલુકાની 800થી વધુ શાળાઓમાં ત્રિ-દિવસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. સહિતના વરીષ્ઠ અધિકારીઓ બાળકોનો શાળા-પ્રવેશ કરાવશે.
આ વર્ષે જિલ્લામાં 11 તાલુકામાં 69 જેટલા રૂટની 800થી વધુ શાળાઓમાં પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી મહોત્સવ યોજાશે. આ દરમિયાન આઈ.એ.એસ. શ્રી નેહાકુમારી (મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન), આઈ.પી.એસ. વલય વૈદ્ય (સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ), આઈ.પી.એસ. સાહિત્ય વી. (એસ.પી. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર), આઈ.એફ.એસ. શ્રી જી.આર. મુર્થી (એ.પી.સી.સી.સી.એફ. નાણાકીય પ્રબંધન અને આયોજન, ગાંધીનગર), જ્વાલરી ઝા, સંયુક્ત સચિવ (સ્કૂલ કંટ્રોલ, ગુજરાત રાજ્ય હાયર સેકન્ડરી એજ્યુ. બોર્ડ) સહિતના ઉચ્ચ અધિકારીઓ વિવિધ રૂટની શાળાઓમાં ઉપસ્થિત રહીને કુમાર તેમજ કન્યા છાત્રોનો શાળાપ્રવેશ કરાવીને શિક્ષણને પ્રોત્સાહન આપશે.
આ અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈને માળખાકીય સુવિધાઓ તેમજ વાલીઓ સાથે મીટિંગ કરીને શાળાકીય શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ વિદ્યાર્થીઓની નિયમિત રીતે અભ્યાસ કરે તે બાબતે મંથન પણ કરવામાં આવશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ શાળા પ્રવેશોત્સવ-ક્ધયા કેળવણી મહોત્સવના આયોજન અંગે જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જિલ્લામાં દિવ્યાંગ બાળકોને શાળાપ્રવેશમાં ક્યાંક તકલીફ ન પડે અને તેઓનો સરળતાથી, ઉત્સાહભેર શાળા-પ્રવેશ થાય તે ખાસ જોવા જણાવ્યું હતું.
ઉપરાંત ધો.9થી 12ના ડ્રોપઆઉટ છાત્રોના પુન: શાળાપ્રવેશ પર તેમણે ખાસ ભાર મુક્યો હતો. પ્રવેશોત્સવમાં જનારા અધિકારીઓને તેમણે પ્રવેશોત્સવ બાદ શાળાની મુલાકાત લઈ તેમજ શિક્ષકો-વાલીઓ સાથે બેઠક કરીને શાળામાં શિક્ષણની ગુણવત્તા વધે તેવા પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે એક શાળાની મુલાકાતનું ઉદાહરણ રજૂ કરીને દિવ્યાંગ બાળકોના શાળા-પ્રવેશ અને અભ્યાસ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જવા પર ભાર મુક્યો હતો. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ સહિતના વિવિધ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

