(એચ.એસ.એલ),Ahmedabad,તા.૨૨
દીવ-દમણ, દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનથી રાજકીય, સામાજિક અને પ્રશાસનિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના નિધનના સમાચાર મળતા જ દેશભરના આગેવાનો, શુભેચ્છકો અને સમાજના વિવિધ વર્ગોના લોકો દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી તેમને દુઃખ થયું છે. તેમણે લખ્યું કે વર્ષોથી પટેલ પરિવાર સાથે તેમનો નિકટનો પરિચય અને આત્મીય સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં તેમણે પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવી અને સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
મળતી માહિતી મુજબ, ભાવનાબેન પટેલનો પાર્થિવ દેહ આજે બપોરે ચાર્ટર વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવશે. ત્યારબાદ પરિવારજનો, સગાસંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો માટે અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. તેમના અવસાનના સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રફુલ પટેલ ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા નેતા તરીકે ઓળખાય છે. વર્ષ ૨૦૦૭માં હિંમતનગર બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમણે રાજ્યના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. બાદમાં તેમને ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
રાજકીય વર્તુળોમાં પ્રફુલ પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના વિશ્વાસુ નેતા તરીકે પણ જોવામાં આવે છે. તેમના કાર્યકાળ દરમિયાન અનેક પડકારજનક પરિસ્થિતિઓમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલમાં તેઓ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ભાવનાબેન પટેલના અવસાનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ તેમના પરિચિતો, સમાજના આગેવાનો અને રાજકીય ક્ષેત્રમાં પણ શોકની લાગણી પ્રસરી છે. અનેક નેતાઓ અને સંગઠનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી છે.

