New Delhi,તા.23
આજના સમયમાં આધાર કાર્ડ દરેક સરકારી અને ખાનગી કામ માટે અનિવાર્ય બની ગયું છે, તેથી તેને અપડેટ રાખવું પણ એટલું જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ આધાર ધારકોને મોટી રાહત આપી છે. UIDAIની જાહેરાત અનુસાર, 1 જુલાઈ 2026થી 31 ડિસેમ્બર 2026 સુધી આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત રહેશે. હાલમાં આ સુવિધા માટે લોકોને 75 રૂપિયા ચૂકવવા પડે છે.
UIDAIના નિયમ મુજબ, આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કે ચેન્જ કરવા માટે સામાન્ય રીતે GST સહિત 75 રૂપિયા ફી વસૂલવામાં આવે છે. જોકે, આગામી 1 જુલાઈથી શરૂ થતા 6 મહિના સુધી જો તમે ‘આધાર મોબાઈલ એપ’ (Aadhaar Mobile App)નો ઉપયોગ કરીને ઈમેલ અપડેટ કરશો, તો આ સેવા તદ્દન ફ્રી રહેશે. પરંતુ ધ્યાનમાં રાખવું કે આ મફત સુવિધાનો લાભ માત્ર મોબાઈલ એપ દ્વારા જ મળશે; જો અન્ય કોઈ માધ્યમથી અપડેટ કરાવશો તો નિયત ચાર્જ ચૂકવવો પડશે.
આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક રાખવાથી સુરક્ષા અને સુવિધા બંને વધી જાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે આધાર સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ સૂચનાઓ અને અપડેટ્સ સીધા તમારા ઈમેલ પર મળતા રહે છે. આ ઉપરાંત, જો કોઈ તમારા આધારનો ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય, તો તેની ચેતવણી તત્કાલ ઈમેલ પર આવી જાય છે. ઈમેલ લિંક હોવાને કારણે ભવિષ્યમાં આધાર નંબર કે એનરોલમેન્ટ આઈડી ખોવાઈ જાય તો તેને ઓનલાઈન ફરી મેળવવામાં પણ ઘણી સરળતા રહે છે.
જો તમારો ઈમેલ આઈડી પહેલેથી જ આધાર સાથે જોડાયેલો હોય અને તમે તેને વેરિફાય કરવા માંગતા હોવ, તો UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને આ સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો:
સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જઈને ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરો.
– ત્યાં આપેલા વિકલ્પોમાંથી ‘Verify Email/Mobile Number’ પસંદ કરો.
– ત્યારબાદ ‘Verify Email Address’ પર ક્લિક કરી, તમારો આધાર નંબર, ઈમેલ આઈડી અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નાખીને ‘Submit’ કરો.
– હવે તમારા ઈમેલ પર એક ઓટીપી (OTP) આવશે, તેને નિર્ધારિત ખાનામાં ભરીને ફરી સબમિટ કરો.
– આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા ઈમેલ પર ‘Aadhaar Authentication Successful’નો મેસેજ આવી જશે, જે દર્શાવે છે કે તમારો ઈમેલ વેરિફાય થઈ ગયો છે.

