સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર, ઓખાને લાભ
Rajkot, તા.25
ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જવા માંગતા અમદાવાદીઓ હવે એક જ દિવસમાં દ્વારકાની મુલાકાત લઈને વંદે ભારત એક્સપ્રેસ દ્વારા પરત ફરી શકશે. અમદાવાદના રેલ મુસાફરો તથા યાત્રાળુઓ માટે રેલવે મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે.
રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રક, ટર્મિનલ સ્ટેશન અને સંચાલનના દિવસોમાં મોટા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે.
રેલવે બોર્ડના નવા આદેશ અનુસાર, ટ્રેન નંબર 22925/22926 વંદે ભારત એક્સપ્રેસ હવે અમદાવાદ મુખ્ય રેલવે સ્ટેશનને બદલે સાબરમતી જંકશનથી ઉપડશે અને ત્યાં જ પોતાની સફર પૂર્ણ કરશે. આ ઉપરાંત, પશ્ચિમ અમદાવાદ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓની સુવિધા માટે આ ટ્રેનને આંબલી રોડ સ્ટેશન પર નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને હવે કાલુપુર મુખ્ય સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં.
આ ટ્રેનની શરૂઆત બાદ અમદાવાદથી દ્વારકા વચ્ચેનું અંદાજે 450 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાક 5 મિનિટમાં પૂર્ણ કરી શકાશે.
ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સાબરમતી જંક્શનથી સવારે 06ઃ15 વાગ્યે રવાના થશે.
ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખા રેલવે સ્ટેશનથી સાંજે 16ઃ45 વાગ્યે રવાના થશે.
રેલવે બોર્ડના આદેશ મુજબ, ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સવારે 6ઃ15 વાગ્યે સાબરમતી જંકશનથી ઉપડશે અને આંબલી રોડ, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા થઈને બપોરે 1ઃ20 વાગ્યે ઓખા પહોંચશે.
ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું અંદાજે રૂા.1300થી વધુ અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું લગભગ રૂા.2500ની આસપાસ હોઈ શકે છે.
નવા મંજૂર થયેલા સમયપત્રક મુજબ, સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સવારે 06ઃ15 વાગ્યે સાબરમતી જંકશનથી ઉપડશે. તે બાદ
આંબલી રોડઃ સવારે 06ઃ23 / 06ઃ25 સાણંદઃ સવારે 06ઃ27 / 06ઃ29 વિરમગામઃ સવારે 07ઃ00 / 07ઃ00 સુરેન્દ્રનગરઃ સવારે 07ઃ48 / 07ઃ50 વાંકાનેરઃ સવારે 08ઃ43 / 08ઃ45 રાજકોટઃ સવારે 09ઃ31 / 09ઃ36 જામનગરઃ સવારે 10ઃ43 / 10ઃ48 દ્વારકાઃ બપોરે 12ઃ32 / 12ઃ37 ઓખાઃ બપોરે 13ઃ20 વાગ્યે પહોંચશે
પરત ફરતી ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી સાંજે 16ઃ45 વાગ્યે ઉપડશે અને રાત્રે 23ઃ15 વાગ્યે સાબરમતી જંકશન પહોંચશે. રૂટમાં
દ્વારકાઃ સાંજે 17ઃ05 / 17ઃ10,જામનગરઃ સાંજે 18ઃ36 / 18ઃ41, રાજકોટઃ રાત્રે 19ઃ44 / 19ઃ4,વાંકાનેરઃ રાત્રે 20ઃ20 / 20ઃ22,સુરેન્દ્રનગરઃ રાત્રે 21ઃ11 / 21ઃ13,વિરમગામઃ રાત્રે 21ઃ59 / 22ઃ01,સાણંદઃ રાત્રે 22ઃ29 / 22ઃ31,આંબલી રોડઃ રાત્રે 22ઃ40 / 22ઃ42,સાબરમતી જંકશનઃ રાત્રે 23ઃ15 વાગ્યે પહોંચશે
આ ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ બપોરે 13ઃ20 વાગ્યે ઓખા પહોંચશે. જો તેઓ એ જ ટ્રેનમાં પરત ફરવા ઇચ્છતા હોય, તો તેમને કુલ 3 કલાક 25 મિનિટનો સમય મળશે. આ દરમિયાન ભક્તો દ્વારકાધીશ મંદિરના દર્શન સહિત અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. ટ્રેન સાંજે 16ઃ45 વાગ્યે ઓખાથી પરત રવાના થશે.
અગાઉ આ ટ્રેન અલગ-અલગ દિવસોમાં (અમદાવાદ-ઓખા મંગળવારે અને ઓખા-અમદાવાદ બુધવારે) બંધ રહેતી હતી. નવી વ્યવસ્થા અને સુધારા મુજબ, હવે આ બંને ટ્રેનો અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને માત્ર મંગળવારના દિવસે જ તેનું સંચાલન બંધ રહેશે.
રેલવે બોર્ડે પશ્ચિમ રેલવે ને એડવાન્સ રિઝર્વેશન સિસ્ટમમાં જરૂરી ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ કરવા અને મુસાફરો સુધી આ માહિતી પહોંચાડવા માટે આદેશ આપ્યો છે.

