Maharashtra, તા.25
મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ચાલી રહેલી નવા-જુનીમાં એક તરફ ઉદ્ધવ ઠાકરે જૂથના 100 સાંસદો શિંદે જૂથમાં ભળી ગયા છે તો બીજી તરફ ગઈકાલે મહાવિકાસ અઘાડીમાં એકતા બતાવવા મુંબઈમાં રાત્રે યોજાયેલી ડીનર બેઠકમાં ખુદ શરદ પવાર જ ગેરહાજર રહ્યા હતા અને તેની સાથે 23 જેટલા ધારાસભ્યો પણ ગેરહાજર રહેતા વિપક્ષમાં વધુ એક ભંગાણની તૈયારી હોવાના સંકેત છે.
આ બેઠકમાં શિવસેના-ઉદ્ધવ ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન, એનસીપી, શરદ પવાર જૂથના પ્રદેશ અધ્યક્ષ શશીકાંત શિંદે હાજર હતા. પરંતુ કોંગ્રેસ, એનસીપી (પવાર) તથા શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ જે મહાવિકાસ અઘાડી તરીકે ઓળખાય છે તેના મહારાષ્ટ્રમાં કુલ 60 ધારાસભ્યો છે તેમાંથી પણ ફકત 37 પહોંચ્યા હતા.
આ બેઠકનો હેતુ વિપક્ષો એક છે તે દર્શાવવાનો હતો. પરંતુ તેના કારણે ખોટો સંદેશ ગયો છે. ખુદ ઉદ્ધવ ઠાકરે પ્રશ્ન ઉઠાવ્યો કે શું આપણે ખરેખર સાથે છીએ તે હવે નિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. તેમના જ જૂથના છ સાંસદો શિંદે જૂથમાં ભળી ગયા તેના પર કહ્યું કે જે ગયા છે તેની ચિંતા કરોમાં જે છે તેને સાથે રાખો.
શરદ પવાર ઉપરાંત એનસીપીના જયંત પાટીલ પણ ગેરહાજર હતા. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે છતાં પણ ધારાસભ્યોની ગેરહાજરી એ પ્રશ્ન બની ગઈ છે અને હવે આ ભંગાણ કયારે પડે તેના પર સૌની નજર છે.
મોદીને ફોલો નથી કરતા ડુબી મરો : મહારાષ્ટ્ર ભાજપના 12 ધારાસભ્યોને મુખ્યમંત્રીએ ઝાટકયા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આજકાલ વધી રહેલો ગુસ્સો ચર્ચાનું કારણ બન્યો છે અને હાલમાં જ એક બેઠકમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો નહી કરનાર 12 ધારાસભ્યોની આકરી ટીકા કરતા કહ્યું કે જો તમે પીએમ મોદીને ફોલો કરતા નથી તો ઢાંકણીમાં પાણી લઈને ડુબી જવું જોઈએ.
બેઠક સમયે ફડનવીસે પક્ષના ધારાસભ્યોના સોશ્યલ મીડીયા એકાઉન્ટની વાત ચાલુ કરી અને તેમાં નિષ્ક્રીય ધારાસભ્યોની ટીકા કરી તો 12 ધારાસભ્યોએ પીએમ મોદીને ફોલો કર્યા નથી તે જાણતા જ ઉકળી ઉઠયા હતા.
તેમણે કહ્યું કે, પક્ષના જ ધારાસભ્યો પીએમ મોદીને સોશ્યલ મીડીયામાં ફોલો ન કરે તો તેઓ શું ભાજપની વિચારધારાને ફોલો કરશે. તેઓએ સોશ્યલ મીડીયા એક મોટુ હથિયાર છે તેમ કહીને તેમનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

