(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫
જામજોધપુર પોલીસ મથકે અપહરણ, મારામારી, ધમકી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ અંગે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ વાલોત્રા ગામના રહેવાસી અને ફર્નિચર કામ કરતા કીરીટભાઈ પ્રવીણભાઈ કોરીયા (ઉ.વ. ૨૯) તા. ૧૮ જૂનના રોજ સવારે આશરે ૯.૩૦ વાગ્યે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ખાતે હિતેશભાઈ લાડાણીની દુકાને કામ કરતા હતા ત્યારે આરોપીઓ સફેદ રંગની જીજે-૦૫-જેએન-૨૭૫૦ નંબરની અર્ટિગા કારમાં આવી પહોંચ્યા હતા.
આરોપીઓ ગોપાલભાઈ ઉર્ફે જતીન શુભારામભાઈ નીમાવત, અજયભાઈ સરજુદાસ નીમાવત અને જનકભાઈ સરજુદાસ નીમાવત (ત્રણે રહે. વાલોત્રા ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદર)એ કીરીટભાઈને જબરદસ્તી કારમાં બેસાડી અપહરણ કરી બાલવા ગામ તરફ જતા રોડ પર લઈ ગયા હતા.ત્યાં ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી, તેમજ ફરીયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી ગોપાલભાઈ ઉર્ફે જતીન નીમાવતે કારમાંથી લાકડી કાઢી ફરીયાદીના બંને પગના ભાગે મુઢ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૪૦(૩), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩(૫) તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

