Bhavnagar, તા.16
મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી, ભારત શોધ સંસ્થાન, ભારતીય વિચાર મંચ અને ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના એમ્ફિથિએટરમા તા. 19 અને 20 ઓકટોબરના રોજ સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ સૌરાષ્ટ્ર લોકમંથન – 2024 યોજાશે.
લોક કળા, લોક સાહિત્ય, લોક સંગીત, લોક કથા, લોક પરંપરા, લોક સંસ્કૃતિ અને લોક જીવન દ્વારા હજારો વર્ષો થી સનાતન સંસ્કૃતિના સંસ્કારો અને જીવન મૂલ્યોનું સિંચન પેઢી દર પેઢી ભારતના બહોળા લોક સમાજમા થયું છે. પ્રજ્ઞા પ્રવાહ દ્વારા પ્રતિ બે વર્ષે લોકમંથન કાર્યક્રમ કરવામા આવે છે.
2016 થી યોજાતા આ કાર્યક્રમમા ભારતની લોક સંસ્કૃતિ અને લોક પરંપરાને મુખ્ય થીમ બનાવી ને ભારતના બહોળા લોકસમાજનો પરિચય સમાન્યજનને કરાવવાનો પ્રયાસ થાય છે. ભોપાલ, રાંચી અને ગૌહતી બાદ આ વર્ષે ભાગ્યનગર (હૈદરાબાદ)મા 21 થી 24 નવેમ્બર દરમિયાન લોકમંથન થવા જઈ રહ્યું છે એવા સમયે પ્રિ-લોકમંથન સ્વરૂપે ‘લોક ને કેન્દ્ર સ્થાન પર રાખી ભાવનગર ખાતે આગામી દિ. 19 – 20 ઓકટોબર, 2024 ના રોજ ભારતીય વિચાર મંચ થતાં સહયોગી સંસ્થાઓ દ્વારા દ્વિ-દિવસીય સૌરાષ્ટ્ર લોકમંથન 2024નું આયોજન થઈ રહ્યું છે.
લોક પરંપરાઓ થી લઈ લોક સંસ્કૃતિ સુધી લોક સંસ્કારની તમામ બાબતો સૌરાષ્ટ્ર લોકમંથન – 2024 નો ભાગ બની રહેશે. સૌરાષ્ટ્ર લોકમંથન 2024 દરમિયાન લોક-પરિસંવાદ અંતર્ગત લોકવિદ્યા ના અનુભવી અને જાણકાર વક્તાઓ દ્વારા વિવિધ લોક વિષયક બાબતો પર વક્તવ્ય થશે. સૌરાષ્ટ્ર લોકમંથનમા લોક- કલામંચ ના મધ્યમથી સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને મંચ આપવાના હેતુ સાથે રાસ, લોકગીત, માણ વાદન જેવી અનેક વિવિધ લોકકળાઓની પ્રસ્તુતિ થશે.
આ ઉપરાંત લોક-કલા-કારીગરી ને મંચ આપવા વિવિધ લોકકળાઓનું પ્રદર્શન થઈ શકે એના માટે લોકઉપયોગી અને લોકનિર્મિત સાધનો અને કલાકૃતિઓનું લોક-પ્રદર્શન પણ સૌરાષ્ટ્ર લોકમંથન-2024ની એક વિશેષતા બની રહેશે જ્યાંથી વિવિધ કલાકૃતિઓની ખરીદી પણ થઈ શકશે. લોકસંસ્કૃતિના આ લોકમેળામા સ્વાદ ભાવનગરી 2.0 વડે ખાણીપીણીની વ્યવસ્થા પણ ઊભી કરવામા આવી છે જેમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકશે.
બે દિવસના સૌરાષ્ટ્ર લોકમંથન-2024 ના પ્રથમ દિવસે (દિ. 19- ઓકટોબર, શનિવાર) સાંજે 8 વાગ્યાથી લોક સંસ્કૃતિના સંવાદના સૌથી વિશિષ્ટ મધ્યમ લોક ડાયરાનું આયોજન પણ છે જેમાં ગુજરાતના પ્રસિદ્ધ લોક ડાયરાના કલાકારોની હાજરી હશે.
લોક પરંપરાના આ કુંભમેળા સમાન સૌરાષ્ટ્ર લોકમંથન-2024 ભાવનગરની કલાપ્રેમી જનતા માટે એક વિશેષ અનુભવ બની રહે તેવું આયોજન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર લોકમંથન-2024 નું વિસ્તૃત ટાઈમટેબલ, ડાયરાના કલાકારો, વક્તાઓ અને વિષયો, પ્રદર્શનના સ્ટોલની વિગતો અને ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહ્યો હોય આ અંગે તારીખ 16 ઓકટોબર પછી સચોટ માહિતી જાણવા મળશે.
ભારતની લોકસંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે થઈ રહેલા આ પ્રયાસમા પોતાનો સહયોગ આપવા ઇચ્છતા સ્વયંસેવકો અને દાતાઓ ભારતીય વિચાર મંચ, ભાવનગરનો સંપર્ક કરી શકે છે. તેમ અધ્યક્ષ ડો .ગિરીશ વાઘાણી એ જણાવ્યું હતું.