Gandhinagar, તા.1
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બિનખેતી થયેલા સર્વે નંબરોના આધારે તૈયાર કરવામાં આવેલા પ્રોપર્ટી કાર્ડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 29 જૂન, 2026ના પરિપત્ર દ્વારા રાજ્યભરમાં ગામ નમૂના નં.-7 (VF-7)ના આધારે બનેલા જુનો પ્રોપર્ટી કાર્ડને બંધ કરાશે.
મહેસૂલ વિભાગે જણાવ્યું છે કે, અત્યાર સુધી બિનખેતી થયેલા સર્વે નંબરોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવતા હતા. જોકે, રી-સર્વે, જમીનના વિભાજન, પ્લોટિંગ અથવા અન્ય કારણોસર એક જ ગામ નમૂના નં.-7 સામે એકથી વધુ પ્રોપર્ટી કાર્ડ અથવા એકથી વધુ ગામ નમૂના નં.-7 સામે એક જ પ્રોપર્ટી કાર્ડ જેવી સ્થિતિ સર્જાતી હતી.
હવે આવી તમામ વિસંગતતાઓને દૂર કરીને નિયમસર નવા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે અને જૂના ગામ નમૂના નં.-7ને બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કાર્ડના તમામ કેસ માટે અલગ-અલગ કાર્યવાહી નક્કી કરવામાં આવી છે. સંબંધિત રેકોર્ડમાં પોર્ટલ પર પણ જરૂરી સુધારા કરવામાં આવશે, જેથી જમીન માલિકોને એકસરખો અને સચોટ ડેટા ઉપલબ્ધ થઈ શકે.
પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં પ્રોપર્ટી કાર્ડમાં ધારકના નામ, સિટી સર્વે નંબર, બ્લોક નંબર, પ્લોટ નંબર અથવા વિસ્તાર સહિતની વિગતો અધૂરી કે ખોટી હશે ત્યાં પણ નિયમસર સુધારા કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા માટે જિલ્લા કચેરીઓ, સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અને અન્ય અધિકારીઓને વિગતવાર માર્ગદર્શિકા સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી જમીનના દસ્તાવેજોમાં રહેલી ગેરસમજ અને વિસંગતતાઓ દૂર થવાની સાથે પ્રોપર્ટી કાર્ડ અને જમીનના રેકોર્ડ વધુ વિશ્વસનીય બનશે. જમીન ખરીદી-વેચાણ, લોન તેમજ અન્ય કાનૂની પ્રક્રિયામાં પણ આ નિર્ણયથી પારદર્શિતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનિકીકરણ તરફ આ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. 37ના વિગતવાર પરિપત્ર મુજબ, રાજ્યમાં બિનખેતી-એનએ થયેલી જમીનોના વર્ષો જૂના ‘ગામ નમૂના નં.-7’ (7/12ના ઉતારા) તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેના સ્થાને પ્રોપર્ટીકાર્ડને જ એકમાત્ર અદ્યતન અને માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે.
રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મિલકતોના ડબલ રેકર્ડના કારણે ઉભા થતા વિવાદોનો કાયમી અંત લાવવાનો છે. અત્યાર સુધી બિનખેતી થયેલી જમીનો માટે ગ્રામ્ય કક્ષાએ 7/12 નો ઉતારો અને સિટી સર્વે કક્ષાએ પ્રોપર્ટીકાર્ડ એમ બંને રેકર્ડ ચાલુ રહેતા હતા. જેના કારણે ક્ષતિઓ અને વિવાદો સર્જાતા હતા. હવે આ પ્રથા બંધ થશે.
મહેસૂલ વિભાગના આદેશ અનુસાર હવેથી બિનખેતી થયેલા તમામ સર્વે નંબરોનું પ્રોપર્ટીકાર્ડ સાથે સો ટકા મેપિંગ કરવામાં આવશે. જૂના થઈ ગયેલા કે ક્ષતિવાળા પ્રોપર્ટીકાર્ડને સંપૂર્ણપણે વેરિફાય કરીને જ ગામ નમૂના નં.-7 બંધ કરવાની મંજૂરી આપવામાં આવશે.
જેથી કોઈ કાયદાકીય ગૂંચ ઉભી ન થાય. આ પરિપત્રમાં 37 પાનાની લાંબી માર્ગદર્શિકા સાથે તમામ જિલ્લા કલેક્ટર, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
જે મુજબ, ગામ નમૂના નં.-7 બંધ કરતા પહેલાં પ્રોપર્ટીકાર્ડમાં નોંધાયેલી વિગતો, ક્ષેત્રફળ અને હકદારોના નામની સચોટ ચકાસણી કરવામાં આવશે. મેપિંગ પ્રક્રિયા માટે જે સર્વે નંબરોનું હજુ સુધી પ્રોપર્ટીકાર્ડ બન્યું નથી ત્યાં આ નવીન કાર્ડ બનાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરાશે.

