પ્લોટ રહેવા આપ્યા બાદ બીજો પ્લોટ પણ દબાવી લેતા ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
Jasdan,તા.૨૩
જસદણમાં ભાણેજે જ મામાના પ્લોટ પર કબ્જો કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. બહેનને રહેવા માટે એક પ્લોટ આપ્યા બાદ ભાણેજે વધુ એક પ્લોટ પર કબ્જો કરી બીએસએનએલના નિવૃત એન્જીનીયરે જસદણ પોલીસમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
દેવજીભાઇ હીરાભાઈ પરમાર(ઉ.વ.૬૮) નામના બીએસએનએલના નિવૃત સબ ડીવીઝનલ એન્જીનીયરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારી પાસે જસદણ ગામના સર્વે નં ૧૧૯૪ ની ખાતા નં ૫૭૯ ની હે.આરે.ચો.મી. ૦-૨૬-૩૦ ની ખેતીની જમીન આવેલી છે. જેમાં તેમના ભાઈઓ લાખાભાઈ હીરાભાઈ પરમાર તથા જયંતિભાઇ હિરાભાઇ પરમાર તથા મગનભાઈ માણસુરભાઈ પરમારની એ રીતેના સંયુકત ખાતામાં છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર આ જમીન ઓછી હોય જેથી ખેતીકામ કરવાના બદલે તેમણે આ જમીનમાં કુલ ૨૦ પ્લોટ પાડેલ હતા. જેમાં પ્લોટ નં. ૧૪ બહેન ડાહીબેન કરશનભાઇ ચૌહાણને રહેવા માટે આપેલ હતો. ત્યારબાદ ભાણેજ રમેશભાઈ કરશનભાઈ ચૌહાણ પણ ત્યા રહેવા આવેલ હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં શરૂઆતમાં મારા ભાઈઓ લાખાભાઈ હિરાભાઈ તથા જયંતિભાઇ હિરાભાઈ પરમાર બન્ને જસદણ રહેતા હોય તેઓએ જણાવેલ કે આપણા ભાણેજ રમેશભાઈ કરશનભાઇ ચૌહાણએ પ્લોટ નં-૧૫ માં કબ્જો કરી લીધેલ છે. જેથી તેઓ જસદણ આવેલ હતા અવાર નવાર કહેવા છતા ભાણેજે પ્લોટ નં-૧૫ માં બાંધકામ કરીને બે ઓરડી બનાવી ભાડે ચડાવી દીધી હતી.
ફરિયાદીની કાયદેસરની માલીકીનો પ્લોટનો કબ્જો ભાણેજે પરત નહિ આપતાં અંતે જિલ્લા કલેકટરને સંબોધી એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની અરજી કરતા જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જસદણ પોલીસે ભાણેજ રમેશભાઇ કરશનભાઇ ચૌહાણ રહે. હાલ અમદાવાદ બહેરામપુરા ફકીરમુખીની ચાલી, ગૌતમ નગર ચાર રસ્તાવાળા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.