Jamnagar, તા. ૨૬,
જામનગરના વોર્ડ નંબર ૧ના કોર્પોરેટર સમજુબેન દીપુભાઈ પારિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને શહેરમાં સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધી બની રહેલા નવા ફ્લાય ઓવર બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
સમજુબેન પારિયાએ પત્રમાં જણાવ્યું છે કે, આશરે ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ બ્રિજમાં તિરાડો પડી ગઈ છે અને બ્રિજ નીચે બનાવેલ સીસી રોડમાં પણ ભ્રષ્ટાચાર થયો છે.કોર્પોરેટરે આ અંગેના ફોટોગ્રાફ અને સીડી મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને પણ મોકલી આપ્યા છે. સમજુબેન પારિયાએ આ અંગે પહેલા પણ બે વખત પત્ર લખ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે મુખ્યમંત્રીને આ મામલે રોજકામ કરાવવા અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કોર્પોરેટર સમજુબેન પારિયાએ આરોપ લગાવ્યો છે કે, આ મામલે કોન્ટ્રાક્ટર અને લગત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે મુખ્યમંત્રી શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.