Junagadh, તા30
જૂનાગઢ અંબાજી મંદિરના ગાદીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગઇકાલે મહેશગીરીને ડે. મેયર ગીરીશ કોટેચા સામે અનેક ભવનાથ પચાવી પાડવાની કોશિષ સહિતના ગંભીર આરોપ લગાવવા બાદ આજરોજ રાજકોટ ખાતે જુનાગઢના પૂર્વ ડે. મેયર ગીરીશ કોટેચાએ મહંત મહેશગીરીને આડે હાથ લઇ તેની સામે સીબીઆઇ તપાસની માંગણી ઉઠાવતા ખળભળાટ મચી ગયો છે.
પત્રકારોને સંબોધન કરતા ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, જુનાગઢના ગુરૂદતાત્રેયના કમંડળકુંડના અમૃતગીરીબાપુના સંપર્કમાં આવ્યો અને મહેશગીરી અમૃતગીરી બાપુની નજીક આવ્યો. કમંડળ કુંડના અમૃતગીરીનું અવસાન થયું તે પણ શંકાના દાયરામાં છે. મહેશગીરી ત્યારબાદ ગાદીપતિ બન્યો અને તેના હાથના કમંડળ કુંડ અને ભેંસાણમાં અમૃતગીરીની જગ્યાનો કબ્જો લઇ લીધો હતો.
મહેશગીરી ભવનાથમાં આવ્યા બાદ શ્રી શ્રી રવિશંકરના સંપર્કમાં આવ્યો અને તેને આર્ટ ઓફ લીવીંગમાં લઇ ગયા જ્યાં તેને શ્રી શ્રી રવિશંકરને હિપ્નોટાઇઝ કરી લીધા અને તેના પર પગ મુકી રાજકારણમાં એન્ટ્રી કરી અને દિલ્હી સાંસદની ચૂંટણી ભાજપમાંથી લેડી સાંસદ બન્યા હતા.
શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં તમામ વહીવટો સંભાળતો જો કે ત્યાં એવું તે શું બન્યું કે તેને આશ્રમ છોડી પાછુ ભગવા પહેરવા પડ્યા અને જૂનાગઢ આવવું પડ્યું તેનું કારણ શું? શ્રી શ્રી રવિ શંકર અને મહેશગીરી વચ્ચે શું સંબંધો હતા તે જાહેર કરવામાં આવે અને કેમ સંબંધો નથી રહ્યા તે કેમ નથી. ભાજપએ રવિશંકરના કહેવાથી સાંસદ બનાવ્યા. જો કે એવા તે શું કામ કર્યા કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ તેની ટીકીટ રીપીટ ન કરી અને ફરી ચૂંટણી ન લડાવ્યા. રાજકારણમાં તેને ભાજપે ટીકીટ આપી છતાં ખોટી રીતે અમિત શાહનું નામ લઇ અને રૂપિયા લીધાનો આરોપ લગાવે છે.
ગીરીશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢના જૈન અને હિન્દુઓ શાંતિથી રહેતા હતા તો જૈન સંતોની સામે મહેશગીરીએ વિવાદો શરૂ કર્યા જૈન સંતો ચતુરમાસ કરવા આવતા હોય તો તેની સાથે પણ ઝઘડો કરી પોતે વિવાદમાં રહેવું અને કઇ રીતે હેરાન કરવા તે જ કામ.
ભૂતનાથ મંદિરમાં મહેશગીરી કઇ રીતે મંદિરમાં એન્ટ્રી કરી તે પણ શંકાના દાયરામાં છે. ભૂતનાથ મંદિરમાં કોઇ લેવા-દેવા ન હોવા છતાં વકિલોની મદદથી આવ્યો. કઇ રીતે મંદિરમાં ટ્રસ્ટમાં પ્રવેશ કર્યો તેનો ખુલાસો કરે. તમારે કોઇ લેવા-દેવા ન હતું. ભુતનાથ મંદિરના મહંત 85 થી 90 વર્ષના થયા ત્યારે કાગળ ઉપર ખોટા અંગુઠા લઇ લખાણો કરાવી લીધા હતા.
ગીરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ગીરનાર પરિક્રમાની બેઠકમાં કલેક્ટર સાથે માથાકુટ કરી હતી અને પરિક્રમા દેવ દિવાળીથી જ શરૂ કરવામાં આવે તેને લઇને વિવાદ કર્યો હતો. જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હોવાના કારણે જુનાગઢની છાપ ખરડાઇ હતી.
તનસુખગીરી બાપુ સાથે પણ ક્રિમીનલ માણસની જેમ મહેશગીરી દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રે જઇ વીડિયો શુટીંગ કરી માથાકુટો કરી હતી. આ માણસ વિકૃત અને નેગેટીવ ઉર્જા ધરાવતો હોવાનું ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું.
મંદિરની ગાદી માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પાંચ કરોડ રૂપિયા લીધા હોવાના આરોપ લગાવે છે. જે આરોપ સામે રાજ્ય સરકાર મહેશગીરી સામે તપાસ કરાવે તે જરૂરી હોવાનું ગીરીશભાઇ કોટેચા દ્વારા માંગ કરવામાં આવી છે.
હું ગીરીશ કોટેચા જુનાગઢમાં જ જન્મ્યો છું અને મારૂ આખુ કુટુંબ પવિત્રતાથી જૂનાગઢમાં જ રહે છે. તેમ છતાં મહેશગીરી દ્વારા મારા પર જે આરોપ લગાવ્યા છે કે પુરી વણીને બંગલાઓ બાંધ્યા અને ડે. મેયર બન્યો તો કહેવા માંગુ છું કે દેશના પ્રધાનમંત્રી પણ ચા વેચીને જ પ્રધાનમંત્રી બન્યા છે. ‘તું કમંડળકુંડથી સાંસદ ઇ રીતના બન્યો અને અમૃતગીરીબાપુનો શિષ્ય કઇ રીતે સંસદ સુધી પહોંચ્યો’.
મારૂ આખુ કુટુંબ જુનાગઢમાં સેવા કાર્યો કરે છે, ભવનાથમાં સાધુ સંતો સાથે સારો ધરોબો ધરાવે છે. એક પણ સાધુ સંત મારા અને મારા પરિવાર વિરૂધ્ધ ખરાબ બોલે તો લઇ આવ તેવો પડકાર ગીરીશ કોટેચાએ ફેક્યો છે.
ગીરીશભાઇ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે મહેશગીરીનાં જૂનાગઢના વિકાસ માટે શું કર્યું તો તેનો જવાબ આપું છું કે જૂનાગઢના વિકાસ માટે ગીરીશ કોટેચાએ 350 કરોડની ગટર યોજના કરી, 80 કરોડનો ઉપરકોટનો વિકાસ કર્યો, 70 કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવું બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું છે અને ભવનાથના ડેવલોપમેન્ટ અને ગીરનાર રોપ-વે લઇ આવ્યા આ બધુ અમે નહીં તો કોણે કરાવ્યું?
જુનાગઢની ધાર્મિક સંસ્થાઓને પૂછો કે ગીરીશ કોટેચાએ ક્યાંય ખરાબ કર્યું છે? મહેશગીરીએ તો જૈન સમાજના સાધુ-સંતોને ગીરનારમાં આવશે. માથા કાપી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં મહેશગીરીએ તો તનસુખગીરી બાપુના અંગુઠાઓ કાગળો ઉપર લઇ કબજો કર્યો છે. ભુતનાથ મહાદેવ મંદિર પાસે આવેલી હાટકેશ હોસ્પીટલ જે મહાશ્રોતાબેન દ્વારા બનાવામાં આવી હતી. જો કે દિલ્હીથી આવી મહેશગીરીએ આ હોસ્પીટલ બંધ કરવા ધમકીઓ આપી અને બુલડોઝર ફેરવી હોસ્પીટલ પાળી નાખવા સુધીની ધમકીઓ આપી છે.
મહેશગીરી અને તેને જે સંસ્થાઓમાં હોદાઓ ધરાવે છે તે ત્રણેય સંસ્થાઓ સામે તપાસ કરાવની માંગ અને સીબીઆઇ તપાસની માંગ કરૂ છું. 3-3 આઇએએસ અધિકારીઓ સામે આરોપ લગાવનાર સામે તપાસ થવી જરૂરી છે. ભાજપના કાર્યકરો પણ સંપર્ક ન રાખે અને સમર્થન ન કરે તેવી અપીલ કરું છું તેમ ગીરીશ કોટેચાએ જણાવ્યું છે.