Pakistan,તા.૩૦
પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના કુર્રમ જિલ્લાના વિવિધ ભાગોમાં સુન્ની અને શિયા સમુદાયો વચ્ચે યુદ્ધવિરામ છતાં ગોળીબારની તાજી ઘટનાઓમાં બે લોકોના મોત બાદ હિંસામાં મૃત્યુઆંક વધીને ૧૨૨ થઈ ગયો છે. પોલીસ અને હોસ્પિટલના અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. ગયા અઠવાડિયે સુન્ની અને શિયા સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી અને યુદ્ધવિરામ છતાં નાની અથડામણો ચાલુ રહી છે. ગુરુવારે બે સમુદાયો વચ્ચે વધુ એક ગોળીબાર થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. આ હિંસા બાદ ગવર્નર ફૈઝલ કરીમ કુંડીએ શુક્રવારે મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરને અશાંત વિસ્તારની મુલાકાત લેવા જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ૨૧ નવેમ્બરે અફઘાનિસ્તાનની સરહદે આવેલા કુર્રમ જિલ્લાના પારાચિનાર પાસે મુસાફરોને લઈ જતી વેન પર હુમલાના એક દિવસ પછી, જિલ્લામાં અલીઝાઈ અને બાગાન આદિવાસી જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પેસેન્જર વાન પર થયેલા હુમલામાં ૪૭ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઘણા મુસાફરોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના કારણે આ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને ૫૭ થઈ ગઈ છે. ગયા શુક્રવાર અને શનિવારે બાગાન બજાર વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા ૩૭ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પછી તરત જ, હિંસા બાલિશખેલ, ખાર, કાલી, જુંજ અલીઝાઈ અને મકબલ સહિત જિલ્લાના અન્ય સ્થળોએ ફેલાઈ ગઈ.
પોલીસ અને હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે શુક્રવાર સુધી ચાલુ રહેલ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૬૫ લોકો માર્યા ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે અગાઉ રવિવારે સરકારે શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે સાત દિવસનો યુદ્ધવિરામ લાગુ કર્યો હતો, જે બાદમાં ૧૦ દિવસ સુધી લંબાવવામાં આવ્યો હતો. યુદ્ધવિરામ છતાં, બંને સમુદાયો વચ્ચે છૂટાછવાયા અથડામણ ચાલુ રહી. પોલીસ અને હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, “૨૧ નવેમ્બરથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુઆંક વધીને ૧૨૨ થઈ ગયો છે, જ્યારે ૧૪૫ લોકો ઘાયલ થયા છે.”