Morbi,તા.02
વિપક્ષના નેતાઓ ભાજપ સરકાર ઉદ્યોગપતિની સરકાર હોવાના આક્ષેપો કરતા રહે છે જોકે તે માત્ર ચુંટણીલક્ષી નારાઓ હોય તેવો જવાબ શાસક પક્ષના નેતાઓ આપતા રહે છે પરંતુ આજે મોરબીમાં કઈક આવો જ ઘાટ જોવા મળ્યો હતો જ્યાં રેંજ આઈજીની ઉપસ્થિતિમાં એસપી અને ધારાસભ્યોએ ઉદ્યોગકારો સાથે લાંબી બેઠક કરી તેના પ્રશ્નો સાંભળ્યા હતા તો સામાન્ય અરજદારો માટે સમય ફાળવ્યો ના હતો અને પોલીસ મથકે જવાનું કહેવામાં આવતા રોષ ભભૂક્યો હતો
રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ આજે વાર્ષિક ઇન્સ્પેકશન માટે મોરબી મુલાકાતે આવ્યા હતા ત્યારે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીલ્લા એસપીની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી અને ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળ્યા હતા પરંતુ વ્યાજખોરોના ત્રાસ, જમીન દબાણ સહિતના પ્રશ્નો લઈને આવેલા અરજદારોને પોલીસ સ્ટેશનના હેલ્પ ડેસ્કની મદદ લેવા કહી દેવામાં આવ્યું હતું અને ઉદ્યોગકારો સાથે લાંબી બેઠક બાદ માછલા ધોવાતા મને કમને સામાન્ય અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા જોકે મોટાભાગનાને પોલીસ સ્ટેશન જવાની સુચના આપવામાં આવી હતી
૩૫ અરજીઓ આવી, પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્ન કરતા હોવાનો ધારાસભ્યોનો દાવો
આજે એસપી કચેરીએ લોક દરબાર મામલે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે આજે કુલ ૩૫ અરજીઓ આવી હતી જેમાં વ્યાજ, જમીન દબાણ જેવા પ્રશ્નો હતા તે સાંભળી તમામને ન્યાય આપવાની ખાતરી આપી હતી તો ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ વ્યાજખોરોના ત્રાસ સહિતના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે તેવી વાતો કરી હતી
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો રેંજ આઈજીનો દાવો
રેંજ આઈજી અશોકકુમાર યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સિરામિક ઉધ્યોગ્કારોના ફસાયેલા નાણા મામલે SIT ની રચના ગત વર્ષે કરવામાં આવી હતી જેમાં ફસાયેલા ૩૮ કરોડ પૈકી ૧૯ કરોડની રીકવરી કરવામાં આવી છે અને SIT માં વધુ ૨ પીઆઈની નિમણુક કરાશે તેમ જણાવ્યું હતું અને મોરબીમાં પાટીદારોએ કરેલ લાયસન્સ અરજી અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે મોરબીમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ સારી છે અને અરજદારોને સાંભળવા મામલે પોલીસ સ્ટેશનમાં હેલ્પ ડેસ્ક કાર્યરત છે જ્યાં ફરિયાદ નોંધાવી સકે છે તેમ જણાવ્યું હતું
ફ્લેટનો કબજો ના મળ્યો, એક અરજદારના પુત્રએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો
આજે રજૂઆત લઈને આવેલા વરમોરા ધીરજલાલે જણાવ્યું હતું કે તેઓએ વર્ષ ૨૦૧૮ માં ફ્લેટ લીધો હતો જેના માટે બિલ્ડર રાજેશ છનીયારાને ૪૫ લાખ ચૂકવ્યા છતાં ફ્લેટ મળ્યો નથી અને પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી આજે અમારી અરજી લઈને બી ડીવીઝન પોલીસ મથકે આવવા જણાવ્યું હતું જયારે અન્ય અરજદાર કુંવરજીભાઈ ગોધવીયાએ જાન્વ્યું હતું કે તેના દીકરાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે ૬૦ લાખ વ્યાજે લીધા જેના બદલે દોઢ કરોડ ચૂકવ્યા છતાં હેરાન કરતા હતા અને દીકરાએ આપઘાત કર્યો હતો જમીન વેચી રૂપિયા ચૂકવ્યા હતા જેની ફરિયાદ નોંધી છે પરંતુ કોઈની ધરપકડ થઇ નથી પોલીસ અમે ગોતી છી, તમને જડે તો અમને કહેજો તેવી વાતો કરે છે એમ પણ અરજદારે જણાવ્યું હતું
આમ ઉદ્યોગકારોના ફસાયેલા નાણા માટે SIT બનાવનાર પોલીસ ટીમો પાસે સામાન્ય અરજદારોના પ્રશ્નો સાંભળવાનો સમય નથી અને તેના ઉકેલમાં કોઈ રસ ના હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો આજે રજૂઆત માટે આવેલ અરજદારો ફરિયાદ કરેલી હોવા છતાં કોઈ કાર્યવાહી ના કરવામાં આવતી હોવાના આક્ષેપો અરજદારોએ કર્યા હતા તો બીજી તરફ રેંજ આઈજી ઉધ્યોગ્કારોના ફસાયેલા નાણા પરત કરવામાં સફળતા મળી હોવાની કામગીરીથી ખુશ જોવા મળ્યા હતા અને મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનું જણાવ્યું હતું