Morbi , તા.30
મોરબીમાં ઉછીના રૂપિયા લેનારા પોલીસ પુત્રને તેના રૂપિયા તેના ટ્રાન્સપોર્ટર મિત્રને પાછા આપવા ન પડે તે માટે તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવેલ છે. જે બાબતે એસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપીએ હત્યાના બનાવમાં પોલીસ અને મૃતક પરિવારને ગુમરાહ કરવા માટે માસ્ટર પ્લાન બનાવેલ હતો અને યુવાનની હત્યા કરીને તેના જેવા જ કપડાં પહેરીને તે ઓફિસની બહાર નીકળે હતો અને ત્યાર બાદ તેને પોલીસે મૃતક યુવાન તેની ઓફિસમાંથી રૂપિયા લઈ ગયેલ છે.
તેવી એક અરજી આપેલ હતી જો કે, ટેકનિકલ પુરાવા સહિતની કડીઓમાં સમય મેચ થતો નથી જેથી કરીને પોલીસે મૃતકના ભાઈની અપહરણની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી અને તેમાં હત્યાનો પર્દાફાશ થયેલ છે. જર, જમીન અને જોરૂ છે કજીયાના છોરુ આ કહેવતને સાર્થક કરતી ઘટના મોરબીમાં બનેલ છે જેમા જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે. હાલ મોરબી વાળાએ તેના જ ટ્રાન્સપોર્ટર મિત્ર જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા (34) ની હત્યા કરી હોવાનું સામે આવેલ છે અને આ બનાવમાં મૃતકના હળવદમાં રહેતા ભાઇ શૈલેષભાઈ રમેશભાઈ કૈલા(40)એ અપહરણની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવેલ હતી .
જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ફરિયાદીના કહેવા મુજબ તેના ભાઈને જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ હતો,. અને તે 20 જૂન 2024 ના બપોરના 2:00 વાગ્યે નાની વાવડી ગામ પાસે આવેલ સતનામ કોમ્પલેક્ષમાં આરોપીની ઓફીસે તેને ઉછીના આપેલા આઠ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો અને ત્યાર બાદ તે ગુમ થી ગયેલ હતો.
જો કે, ફરિયાદી જણાવ્યુ હતું કે, આરોપીએ તેના ભાઈની પાસેથી મંડળીનું ધીરાણ ભરવા અને જમીન લેવા માટે કુલ મળીને 18 લાખ રૂપિયા લીધેલ હતા અને ફરિયાદીના ભાઈને આરોપીએ ખોટુ સોદાખત બનાવીને બતાવ્યુ પણ હતું જો કે, ઉછીના આપેલા આઠ લાખ લેવા માટે તેનો ભાઈ આરોપીની ઓફિસે ગયો હતો.
મોરબીના હત્યાની આ ઘટનાનો ભેદ ઉલેકાયો તે બાબતે એસપી રાહુલ ત્રિપાઠીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ આયદાનભાઇ ગજીયા જાતે બોરિચા (37)એ જીતેન્દ્ર કૈલાને ગળાટૂંપો આપીને હત્યા કરી નાખી હતી અને આરોપીએ પોલીસ અને મૃતકના પરિવારને ગુમરાહ કરવા માટે માસ્ટર પ્લાન બનાવેલ હતો જો કે, પોલીસે ટેકનિકલ મધ્યમ અને આરોપીએ આપેલ કેફિયત મુજબનો સમય મેચ થતો ન હતો જેથી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી અને આરોપીની ઓફિસે મૃતક જીતેન્દ્ર કૈલા આવ્યો હતો ત્યારે બે વ્યક્તિ આવે છે અને ત્યાર બાદ તેની આરોપીએ ઓફિસમાં જ હત્યા કરી નાખી હતી અને તેના જેવા જ કપડાં પહેરીને માથા ઉપર હેલ્મેટ મૂકીને તે ઓફિસની બહાર ગયો હતો અને મૃતકના બાઇક અને હેલ્મેટને આવાવરું જગ્યાએ મૂકી આવ્યો હતો.
ત્યાર બાદ લાશને બોક્સમાં પેક કરીને તેની જ ગાડીમાં લઈ જઈને માણેકવાડા ગામ પાસે ખાડો ખોદીને લાશને ત્યાં દાટી દીધી હતી. અને આરોપીએ મૃતક પાસેથી લીધેલા રૂપિયા તેને પાછા આપવા ન પડે તે માટે તેની હત્યા કરી હોવાની વિગત હજુ સુધીની તપાસમાં સામે આવેલ છે જો કે, આરોપીએ રૂપિયા કયા વાપરી નાખેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. અને પોલીસને ઉંધા રસ્તે ચડાવવા માટે આરોપીએ મૃતક યુવાન ગુમ થયો હતો તેના બીજા જ દિવસે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેની ઓફિસે આવેલ જીતેન્દ્ર કૈલા રૂપિયા લઈ ગયેલ છે તેવી એક અરજી આપેલ હતી. જો કે, હત્યાનામાં આ ગુનામાં ન પકડાવવા માટે આરોપીએ બનાવેલ માસ્ટર પ્લાનને ભેદીને પોલીસે આરોપીને પકડીને કાનૂન કે હાથ લાંબે હોતે હૈ એ કહેવતને આજે મોરબીમાં સાર્થક કરી બતાવી છે.
જીતેન્દ્ર ગજીયા સામે અગાઉ કયા કયા ગુના નોંધાયેલ ?
આ આરોપી નિવૃત પોલીસ કર્મચારીનો દીકરો છે. અને તેને 18 વર્ષ પહેલા જેતપુર ગામે ડોક્ટરના દીકરાની હત્યા કરી હતી અને તેની લાશને જે તે સમયે ડીવાયએસપીના બંગલાની અગાશી ઉપર ફેંકી દીધી હતી. અને ત્યાર બાદ તે 12 વર્ષ સુધી જેલમાં હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તે મૃતક યુવાનના સંપર્કમાં હતો. અને વર્ષ 2023 માં તેની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીલોનડ્રિંગનો ગુનો પણ નોંધાયેલ હતો.