Bhavnagar,તા.૨
ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવાની ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા તેમજ સરકાર દ્વારા જે નિર્ણય કર્યો છે તે સંપૂર્ણ અન્યાયકર્તા છે. વર્ષોથી જે લોકો ભાવનગરમાં વસવાટ કરે છે તેવા લોકોને સુપ્રીમ કોર્ટના વારંવારના અવલોકનો મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વગર તોડી પાડવા તે અમાનવીય અને હાડમારી ઉભી કરનારું છે. આવા અસરગ્રસ્ત લોકોને ન્યાય મળે તે માટે અને તેમની વ્યથા ઉજાગર થાય તે માટે ભાવનગર કોંગ્રેસ સમિતિ તથા અસરગ્રસ્તોની બનેલી સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૫ને શુક્રવારના દિવસે એક વિશાળ રેલી ભાવનગરમાં નીકળશે અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે.
આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશભાઈ મેવાણી, એસ.સી. વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા તથા ભાવનગર શહેરના આગેવાનો ઉપસ્થિત રહેશે અને રેલીમાં આમજનતાની સાથે પદયાત્રા કરીને કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવા જનારી રેલીમાં સહભાગી બનશે.