Junagadh,તા.10
હાલ તમો શિયાળા તમો જીંજરા કે લીલા શાકભાજી સાથે ઉંધીયાની મજા માણતા હો તો ઉનાળામાં કેસર કેરી પણ તમોને ‘ટેસેડો’ કરાવી દેશે. એક તબકકે ભય રખાતો હતો તેનાથી વિપરીત રાજયમાં શિયાળો ખૂબ જામ્યો છે અને હવે રાજયના અનેક વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર પણ સામેલ છે ત્યાં તાપમાન 5-6-7 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું અને હજું પુરો જાન્યુઆરી કાતિલ ઠંડી પડશે તેવી આગાહી છે તે વચ્ચે વધુ એક સારા સમાચાર આવ્યા છે.
સારા શિયાળાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયના અન્ય ભાગો જયાં કેસર સહિતની કેરીનો પાક થાય છે ત્યાં આંબામાં ‘મોર’ પણ ખૂબ જ સારા આવવાનું શરૂ થતા હવે કોઈ કુદરતી આફત ન નડે તો આ વર્ષ કેસર સહિતની કેરીના પાક પણ મબલખ થશે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં કેરીના બગીચાઓમાં ચોખા પર ‘મોર’નો મોટો જથ્થો દેખાઈ રહ્યો છે. જો કે ગત વર્ષે માવઠાનું વર્ષ રહ્યું હતું અને વારંવાર આવેલા માવઠાએ કેસર કેરીના પાકને અસર કરી હતી. ઉપરાંત વધેલુ ઉષ્ણતામાન પણ એક તબકકે અસર કરે છે.
કેસર કેરી હવે મહારાષ્ટ્રમાં પણ ઉગાડાય છે પણ સૌરાષ્ટ્રની ખાસ કરીને ગીર-તાલાલા અને તે પંથકની કેરીનો સ્વાદ કંઈક અનોખો જ છે. જુનાગઢ કૃષિ યુનિ.ની સાથે સંકળાયેલી કોલેજ ફોર હોટ્રીકલ્ચરના પ્રીન્સીપાલ શ્રી ડી.કે.વરૂ કહે છે કે કેરી એ સંવેદનશીલ મોસમી પાક છે તેથી તેના માટે સાનુકુળ વાતાવરણ જરૂરી છે અને આ શિયાળામાં તમામ રીતે સાનુકુળતા છે. દિવસ અને રાત્રીના તાપમાન વચ્ચેનો તફાવત 10 ડીગ્રીથી પણ ઓછો છે.
મહતમ તાપમાન 25 ડીગ્રી સેલ્સીયસથી ઓછુ છે અને તે કેરીના પાક માટે મહત્વનું છે. અને આ વાતાવરણ 15-20 દિવસ રહે તો કેરીનો બમ્પર પાકની આશા રાખી શકાશે. ઉપરાંત ગત વર્ષની જેમ પાકમાં કોઈ રોગની શકયતા પણ નથી અને કમોસમી વરસાદની પણ શકયતા નહીવત છે.
કેરી ઉત્પાદક ખેડૂતો અને બગીચાના માલીકો પણ ખુશ છે. આગામી 15-20 દિવસમાં ચોખાના મોરમાં કેરીના ફળ બેસવાનું શરૂ થઈ જશે અને માર્ચના અંત કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પ્રથમ માત્ર બજારમાં આવી જશે.
સતાવાર રેકોર્ડ કહે છે કે સૌરાષ્ટ્રમાં 42000 હેકટરમાં કેરીના બગીચા છે. ગત વર્ષે 2.82 લાખ મેટ્રીક ટન કેરીનુ ઉત્પાદન થયુ હતું. કેસર કેરીની વિદેશમાં પણ માંગ છે અને નિકાસ 143% વધીને 680 ટન ગત વર્ષે થઈ હતી અને રૂા.16 કરોડની કમાણી ખેડૂતોને થઈ હતી.