Jamnagar,તા.૧૬
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દરરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ જામનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જામનગરના લતીપર ગામ પાસે આ ઘટના ઘટી હતી. જેમાં કાર ચાલુ કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ કારમાં પાંચ વ્યક્તિ સવાર હતા. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં રીસી ચભાડીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિવેક પરમારનું મોત નિપજ્યું છે.
હાલ જામનગર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો તે સામે આવી શક્યું નથી. પરંતુ આ ડ્રાઇવરની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા હર્નિશભાઈ રાજેશભાઈ ચભાડીયા કે જેના પરિવારમાં કૌટુંબિક દીકરા દીકરી ના લગ્ન યોજાયા હોવાથી જે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જામનગરમાં શિવ નગર શેરી નંબર ૪ માં રહેતા ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા (૨૯ વર્ષ), મૂળ લતીપર-લાલપુર ના વતની અને હાલ રાજકોટ રહેતા રીશી મુકેશભાઈ ચભાડીયા (૧૯ વર્ષ) તેમજ જામનગરમાં શ્રીજી હોલ પાસે રહેતા વિવેક દિનેશભાઈ પરમાર(૨૩ વર્ષ) કે જેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, તેમજ જામનગર તાલુકાના વિવાપર ગામના વતની જસ્મીનભાઇ વિઠ્ઠલભાઈ પણસારા (૧૯ વર્ષ) તથા હરનીશભાઈ રાજેશભાઈ (૨૫ વર્ષ) કે જેઓ પાંચેય ગઈકાલે રાત્રે એક કારમાં બેસીને ધ્રોળ ચા પાણી નાસ્તો કરવા માટે ગયા હતા, અને ત્યાંથી રાત્રિના બે વાગ્યે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન લતિપર ગામના પાટીયા પાસે જી.જે. ૩૬ એ.સી. ૪૯૫૭ નંબર ની કારના ચાલક જસ્મીન પણસારાની બેદરકારીના કારણે કાર પલટી મારી ગઈ હતી, અને રોડથી નીચે ઉતરીને ચાર પાંચ ગડથોલીયા ખાઈ ગઈ હતી. જે અકસ્માતના કારનું પડીકુ વળી ગયું હતું, જેથી પાછળ ની સીટમાં બેઠેલા રીસી મુકેશભાઈ, વિવેકભાઈ પરમાર તેમજ ધર્મેન્દ્રસિંહ ઝાલા કે જે ત્રણેને ગંભીર ઇજા થવાથી ત્રણેયના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જયારે જસ્મીન વિઠ્ઠલભાઈ તેમજ હર્નિશ રાજેશભાઈ કે જે બંનેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.સમગ્ર મામલાની જાણ થતાં ધ્રોલ પોલીસની ટુકડી બનાવના સ્થળે તેમજ જામનગરની ઓસવાળ હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને અકસ્માતના બનાવ અંગે ફરીયાદ નોંધી છે, તેમજ ત્રણેય મૃતકોના મૃતદેહો નૉ કબજો સંભાળી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં તમામના પોસ્ટમોર્ટમ કરાવાયા છે. આ અકસ્માતના બનાવને લઈને લતીપરના પરિવારમાં ભારે માતમ છવાયો છે, અને આજે બાકીની લગ્નવિધિ સાદાઇથી આટોપી લેવામાં આવી રહી છે.