Prayagraj,તા.18
જો કોઈ વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટ થાય છે, તો તેનું જીવન તાત્કાલિક કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન એટલે કે સીપીઆર દ્વારા બચાવી શકાય છે. જેનો તાજો દાખલો મહાકુંભમાં સામે આવ્યો છે. અહીં ત્રણ લોકોને સમયસર સીપીઆર આપીને તેઓનું જીવન બચાવી લેવામાં આવ્યું હતું.
જેમાં આવાહન અખાડાના મહંત અજય ગીરી, મહંત નનકુ ગીરી અને અન્ય એક મહિલાનો સમાવેશ થાય છે. મકરસંક્રાંતિના તહેવાર પર અમૃતસ્નાન માટે નીકળેલી શોભાયાત્રા દરમિયાન આવાહન અખાડાના મહંત અજય ગિરી રથ પર અચાનક બેભાન થઈ ગયાં હતાં.
આ દરમિયાન શું કરવું તે કોઈને સમજાતું ન હતું. ત્યારબાદ ત્યાંથી પસાર થતાં સેન્ટ્રલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં તૈનાત લેબ ટેકનિશિયન અજય શુક્લાએ તરત જ મહંત અજય ગીરીને રથ પર જ સીપીઆર આપવાનું શરૂ કર્યું. આનાથી તેઓ ભાનમાં આવ્યાં હતાં.
આ પછી તેમને એમ્બ્યુલન્સ દ્વારા સેન્ટ્રલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. બીજો કેસ સેન્ટ્રલ હોસ્પિટલનો છે, જ્યાં ગુરુવારે સાંજે મહિલા સંધ્યા દેવીને બેભાન અવસ્થામાં લાવવામાં આવી હતી.
તેનું શુગર લેવલ ઘણું ઓછું હતું. આ સિવાય ઓક્સિજનનું સ્તર પણ 43 થઈ ગયું હતું. આવી સ્થિતિમાં ડોક્ટર આશુતોષ યાદવ અને તેમની ટીમે તાત્કાલિક સીપીઆર આપીને મહિલાનો જીવ બચાવ્યો હતો.
ત્રીજો કિસ્સો મેળાના સેક્ટર 2 સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલનો છે, જ્યાં શુક્રવારે આઇસીયુ વોર્ડની દેખરેખ રાખતા ડો. સિદ્ધાર્થ પાંડેએ સીપીઆર આપીને મહંત નનકુ ગિરીનો જીવ બચાવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની નાડી અને હૃદયના ધબકારા જોવા મળ્યા ન હતાં. આ પછી લગભગ 12 મિનિટ સુધી સીપીઆર આપીને તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.