Mumbai,તા.18
રણજી ટ્રોફીનો બીજો રાઉન્ડ 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. એવામાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી અને કેએલ રાહુલે રણજી ટ્રોફી નહીં રમવાનો નિર્ણય કર્યો છે. કોહલીએ ગરદનના દુખાવાના કારણે અને રાહુલે કોણીની સમસ્યાને કારણે રણજી ટ્રોફી ન રમવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નિરાશાજનક પ્રદર્શન બાદ BCCIએ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો ફરજિયાત કરી દીધો હતો. બંનેએ બીસીસીઆઈની મેડિકલ ટીમને તેમની ઈજા વિશે જાણકારી આપી છે.
કોહલી અને રાહુલે રણજી રમવાની ના પાડી
કોહલી ગરદનના દુખાવાથી પીડાતો હતો અને સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સમાપ્ત થયાના ત્રણ દિવસ પછી 8 જાન્યુઆરીએ તેણે ઈન્જેક્શન લીધું હતું. કોહલીએ બીસીસીઆઈના મેડિકલ સ્ટાફને કહ્યું કે, ‘હું હજુ પણ પીડા અનુભવી રહ્યો છે, જેના કારણે મારે રાજકોટમાં સૌરાષ્ટ્ર સામેની દિલ્હીની મેચથી પણ બહાર થયું પડ્યું.’ જયારે કે.એલ.રાહુલને કોણીમાં ઈજા થઇ છે, જેના કારણે તે બેંગલુરુમાં પંજાબ સામે કર્ણાટકની મેચમાંથી બહાર થઈ જશે.
BCCIએ તમામ ખેલાડીઓ માટે કડક નિયમોની યાદી બહાર પાડી
આ અઠવાડિયે, BCCIએ તમામ ખેલાડીઓ માટે 10 કડક નિયમોની યાદી બહાર પાડી હતી, જે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવા માટે જરૂરી છે. જો ખેલાડી રમવા માટે ઉપલબ્ધ ન હોય, તો તેણે પસંદગીકારોના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસેથી પરવાનગી મેળવવી પડશે.
જોકે, કોહલી અને રાહુલને 30 જાન્યુઆરીથી શરૂ થનારી આગામી મેચમાં રમવાની તક મળશે. જો બંને ફિટ છે તો તેઓ ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ પહેલા આ 4 દિવસની મેચ રમી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવાની છે.