બાંગ્લાદેશમાં લગભગ ૧૫૦૦૦ ભારતીય નાગરિકો રહે છે, જેમાંથી કેટલાક રોજગારની શોધમાં ગયેલા લોકો છે
Dhaka, તા.૫
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે, અહીં છેલ્લા કેટલાક દિવસોથી સતત રમખાણો ચાલી રહ્યા હતા. હવે ત્યાં સેનાએ કમાન સંભાળી લીધી છે. બાંગ્લાદેશમાં લગભગ ૧૫૦૦૦ ભારતીય નાગરિકો રહે છે. જેમાંથી કેટલાક રોજગારની શોધમાં ગયેલા લોકો છે. તો બાકીના વિદ્યાર્થીઓ છે.
આંકડાઓના હિસાબે વાત કરીએ તો બાંગ્લાદેશમાં લગભગ ૮૫૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાંગ્લાદેશમાં આ દિવસોમાં હિંસા થઈ રહી છે. વળી હવે PM હસીના પણ દેશ છોડી ચૂક્યા છે. આના કારણે ઘણા ભારતીયો ભારત પાછા ફરવા ઇચ્છે છે. હાલમાં ૪૫૦૦ ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પાછા ફરી ચૂક્યા છે. હિંસાના આ તબક્કામાં બાંગ્લાદેશમાં ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને મદદ માંગવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. જો તમારો કોઈ જાણીતો વ્યક્તિ, તમારો કોઈ સગો કે મિત્ર બાંગ્લાદેશમાં ફસાયેલો છે, તો તમે ભારતથી તેની મદદ કરી શકો છો. આ માટે તમે ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી મદદની માંગણી કરી શકો છો. તમે ઇચ્છો તો વિદેશ મંત્રાલયના મદદ પોર્ટલ madad.gov.inપર તમારી ફરિયાદ મૂકી શકો છો.
આ સાથે તમે વિદેશ મંત્રાલયમાં જઈને પણ તે વ્યક્તિના બચાવ વિશે વિદેશ મંત્રાલયને જણાવી શકો છો. તમે સોશિયલ મીડિયા પર વિદેશ મંત્રી એસ જયશંકર સુધી સીધી તમારી વાત પહોંચાડી શકો છો.
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં હાજર ભારતીય નાગરિકોને આ નંબરો ૮૮૦૧૯૫૮૩૮૩૬૭૯, ૮૮૦૧૯૫૮૩૮૩૬૮૦, ૮૮૦૧૯૩૭૪૦૦૫૯૧ પર સંપર્ક કરવા જણાવ્યું છે.