Britain,તા.06
અમેરિકાના ટેરીફ વોર વચ્ચે હાલ પાંચ દિવસની બ્રિટન મુલાકાતે પહોંચેલા વિદેશ મંત્રી એસ.જયશંકર પર લંડનમાં ખાલીસ્તાની દેખાવકારોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો તથા તેમની સતાવાર કારને આંતરવામાં આવી હતી તથા કાર પર ફરકતા ભારતના રાષ્ટ્રધ્વજને ફાડી નખાયો હતો.
શ્રી જયશંકર લંડનના પ્રતિષ્ઠિત ચૈથમ હાઉસ પોતાનો કાર્યક્રમ પુરો કરીને પરત જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી અને અહી સુરક્ષા માટે તૈનાત બ્રિટીશ પોલીસ મુક તમાશો જોઈ રહી હતી. આ ઘટનાએ ભારતને સ્તબ્ધ કરી દીધુ છે.
બ્રિટનમાં રોયલ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ ચૈથમ હાઉસ એ વિશ્વભરમાં ડિપ્લોમસી ચર્ચા માટે જાણીતુ છે અને શ્રી જયશંકર અહી આયોજીત એક ચર્ચામાં ભાગ લઈને પરત હોટેલ પર જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. શ્રી જયશંકરના આગમન પુર્વે જ અહી ખાલીસ્તાની ધ્વજો લઈને સંખ્યાબંધ દેખાવકારો ઉપસ્થિત હતા અને ભારત વિરોધી નારેબાજી કરતા હતા પણ બ્રિટીશ પોલીસે કોઈ વધારાની સુરક્ષાની ચિંતા કરી ન હતી.
ચૈથમ હાઉસમાં કાર્યક્રમ ચાલુ હતો તે સમયે પણ અલગતાવાદીઓ બહાર દેખાવો કરી રહ્યા હતા. વિદેશમંત્રી શ્રી જયશંકર ચૈથમ હાઉસની બહાર નીકળી તેમની કાર ભણી જઈ રહ્યા હતા તે સમયે અચાનક જ એક અલગતાવાદી ત્યાં દોડી આવ્યો હતો અને જયશંકર પર હુમલાનો પ્રયાસ કર્યો.
જો કે તે પુર્વે જ વિદેશમંત્રી તેમની કારમાં બેસી ગયા અને તેની દેખાવકારે કારની આગળ બોનેટમાં ફરકતો ભારતનો રાષ્ટ્રધ્વજ ખેચીને ફાડી નાખ્યો હતો. આ સમયે અન્ય પ્રદર્શનકારીઓ હેન્ડી લાઉડ સ્પીકર લઈને ખાલીસ્તાન તરફી અને ભારત વિરોધી નારેબાજી ચાલુ રાખી હતી.
અગાઉ પણ જાન્યુઆરી માસમાં ખાલીસ્તાનીઓએ ભારતીય દૂતાવાસ વિરુદ્ધ દેખાવો કર્યા હતા તથા કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ પ્રદર્શિત કરી રહેલા એક સિનેમાઘર પર હુમલો કરીને તોડફોડ કરી હતી. એનઆઈએ સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ પંજાબમાં પોલીસે જે રીતે વારીસ પંજાબ ડેના પ્રમુખ અને સાંસદ અમૃતપાલ સામે કાર્યવાહી કરી તેનો વિરોધ કરી રહ્યા હતા.