Jamnagar, તા. 24
ભાણવડ તાલુકાના આંબરડી ખાતે રૂ. 25.50 લાખ, કાટકોલા ખાતે રૂ. 26.50 લાખ તથા સણખલા ખાતે રૂ. 27.50 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં જે વ્યક્તિ આરોગ્યની દ્રષ્ટિએ નિરોગી હોય તે જ ખરા અર્થમાં સુખી કહેવાય. છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદ્રઢ બનાવવા નેમ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. જેને વધુ ઉન્નત બનાવવાનો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશનો આત્મા ગ્રામીણ વિસ્તારોમાં વસેલો છે. ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યની સેવાઓ વ્યાપ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબધ્ધ છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી પી.એમ.જે.વાય. જેવી આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવીને નાગરિકોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. ભૂતકાળમાં લોકો સામાન્ય બીમારીથી ભયભીત થઈ જતાં જ્યારે હવે મોટી મોટી બીમારીઓ પણ સારવાર ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે.
વર્તમાન સમયમાં કલાઈમેટ ચેન્જની અસરને પરિણામે રોગોનું પ્રમાણ વધ્યું છે. સ્વસ્થ રહેવા માટે નાગરિકોએ પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવવો જોઈએ. ઉપરાંત સ્વસ્થ શરીર માટે સારો ખોરાક મળી રહે તે માટે આપણા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી જોઈએ. તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવું જોઈએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં 12 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. જેમાં સગર્ભા, ધાત્રી માતાની તપાસ, બાળકો અને માતાનું રસીકરણ, કિશોર કિશોરીની સેવાઓ, વૃદ્ધ લોકોની સેવાઓ, આંખ, કાન, નાક, ગળું, ઓરલ, મેન્ટલ, પ્રાથમિક તમામ સારવાર વિગેરે આ સેન્ટર ખાતે ઉપલબ્ધ થશે.
આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય કે.ડી. કરમુર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબીસા, મામલતદાર અશ્વિન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બૈડીયાવદરા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રકાશ ચાંડેગ્રા, અગ્રણી પાલાભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, પ્રતાપભાઈ પિંડારીયા, કાનાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, રામશીભાઈ મારું, અલ્પેશભાઈ પાથર, મોહનભાઈ, સાજણભાઈ રાવલીયા તેમજ સરપંચો સહિત આરોગ્ય વિભાગ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.