Islamabad,તા.30
પહેલગામ હુમલા બાદ ભારતે હવે ત્રાસવાદ અને તેના ‘આકા’ જેવા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીની તૈયારીને આખરી ચરણમાં મુકયુ છે તે વચ્ચે હવે પાકના કેબીનેટ મંત્રીઓ પણ ફફડવા લાગ્યા છે અને શરીફ સરકારને માહિતી પ્રસારણ મંત્રી અતુલ્લાહ તરાટે ભય વ્યક્ત કર્યો કે ભારત હવે 24થી36 કલાકમાંજ પાકિસ્તાન પર હુમલો કરશે.
તેઓએ ભરોસાપાત્ર ગુપ્તચર અહેવાલોને ટાંકીને આ દાવો કર્યો હતો અને બડાશ હાંકી છે. ભારતના કોઈપણ હુમલાનો જવાબ અપાશે. બીજી તરફ સીમા પર પાકની ગુસ્તાખી ચાલુ છે. નૌશેરા સુંદરબની અને અખનૂર સેકટરમાં પાક સેનાએ ગોળીબાર કર્યો હતો અને ભારતીય દળોએ તેનો આકરો જવાબ આપ્યો છે.
જો કે ભારતનો હુમલો કઈ બાજુથી આવશે તે પાક નિશ્ચિત કરી શકતુ નથી અને આથી જ પાકે તેની હવાઈ સુરક્ષા તથા સરહદી પોઝીશન વધુ મજબૂત બનાવવાનો પ્રારંભ કર્યો છે. પાકના સંરક્ષણમંત્રી શ્રી ખ્વાજા આસીફે ફરી એક વખત ભારતને ‘આક્રમણ’ નહી કરવા વિનંતી કરી હતી.
પાકે ખાસ કરીને તેના કબ્જાના કાશ્મીરમાં મોટા હુમલા થશે તેવી દહેશતથી આ મોરચે પોઝીશન મજબૂત બનાવી છે તો બીજી બાજુ યુદ્ધ જેવા વાતાવરણમાં પાક સૈન્યના વડા જનરલ મુનીરનું એક પણ વિધાન આપ્યુ નથી. બીજી તરફ પાકે હવે ભારતના ‘તાપ’થી બચવા વધુ એક વખત સંયુક્ત રાષ્ટ્રસંઘનું શરણ લીધુ છે.