મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓને પકડી પાડવા જેતપુર સીટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
Jetpur,તા.20
જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા બુટલેગર સાજીદ શેખની ફૂલવાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સો હત્યા કરી નાસી છૂટતાં ચકચાર મચી ગઇ હતી. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.ગઈકાલે સાજીદ શેખને માથાકૂટ થયાં બાદ તેને ઢોર માર માર્યો હતો, સારવારમાં ખસેડાયા બાદ ત્યાંથી નાસી ગયો હતો, આજે ફરીવાર માથાકૂટ થઈ અને અજાણ્યાં શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના ભાદરના સામા કાંઠે રહેતા સાજીદ ભાઈ ઉર્ફે સાજલો હાજીભાઈ શેખ 25 ની આજે સવારે ફૂલવાડી વિસ્તાર નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 108 ને જાણ કરતા દોડી આવેલ 108 ની ટીમે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ આદરી બનાવનું કારણ તેમજ આરોપી સુધી પહોંચવા તજવીજ આદરી હતી.
વધુમાં મળતી વિગત મુજબ, મૃતક દેશી દારૂનો ધંધાર્થી છે અને ચારેક માસ પહેલાં જ પાસામાંથી જેલમાંથી છૂટી આવ્યો હતો. દરમિયાન ગઈકાલે તેમને કોઈ શખ્સો સાથે ઝઘડો થયો હતો અને તેને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. જો કે, તેમની પાસે પોલીસ વિગત લેવા પહોંચે તે પહેલા જ તે હોસ્પિટલેથી ભાગી ગયો હતો. જે બાદ આજે સવારે તેને અજાણ્યાં શખ્સો સાથે ફરીવાર ઝઘડો થતાં આરોપીઓએ બોથડ પદાર્થનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. જો કે, પોલીસ તપાસ હજું યથાવત છે.