શંકરાચાર્યજીએ અદ્વેત-મતની સ્થાપના કરીને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો.અદ્વેત એટલે આત્મા અને ઇશ્વર બે નહી પરંતુ એક છે.અદ્વેત અમોને એ શિખવાડે છે કે ઇશ્વર અમારામાં આત્મારૂપે રહેલ છે.અમે ઇશ્વરથી અલગ નથી.ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે.તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા, તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે.અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ આવે છે.
એકવાર ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ચૌદ શિષ્યો સાથે જઈ રહ્યા હતાં ત્યાં એક વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ પાણિનીના સંસ્કૃત વ્યાકરણના નિયમો વાંચી રહ્યા હતા.તેમની પાસે જઇને આચાર્યશ્રી તેમને સમજાવ્યું કે મૃત્યુ જ્યારે દરવાજા ઉપર આવીને ઉભું રહે છે ત્યારે આ વ્યાકરણના સૂત્રો કામમાં નહી આવે, હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તૂં એક નિરાકાર પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.તમે પોતાની આત્મા અને બુદ્ધિને ભગવાનના ભજનમાં લગાવો.તેમનો આ જ ઉપદેશ ભજ ગોવિંદમ્ નામથી પ્રખ્યાત થયો જેમાં જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવા ના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજ સુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર અદ્વેત બ્રહ્મના ઉપાસક હતા.પહેલા ભાગમાં આપણે શ્ર્લોક ૧ થી ૩ વિશે ચિંતન કર્યું છે હવે આગળના શ્ર્લોક જોઇએ..
નલિનીદલગતસલિલં તરલં તદ્વજ્જીવિતમતિશય ચપલમ્
વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્..૪
જેમ કમળની પાંખડીઓ ઉપરના પાણીના બૂંદનું અસ્તિત્વ અનિશ્ચિત હોય છે એટલે કે તે ગમે ત્યારે નષ્ટ થઇ જાય છે તેવી જ રીતે અમારૂં જીવન ક્ષણભંગુર છે.આ સમગ્ર સંસાર બિમારીઓ,છળ-કપટ અને દુઃખોથી ભરેલો છે,આ નાનકડી જીંદગીમાં ક્યાંય સુખ-ચૈન નથી પરંતુ અનેક પ્રકારની સમસ્યાઓ અને તકલીફો સામે સંઘર્ષ કરતાં કરતાં જીંદગી ક્યારે સમાપ્ત થઇ જાય તે નક્કી નથી હોતું-આ વાતને સારી રીતે જાણી લો.અમે કંઇક વિચારીએ કે કોઇ સત્કર્મ કરીએ ત્યાર પહેલાં આ જીવન પુરૂ થઇ જાય છે એટલે અમારી પાસે જેટલો સમય છે તેને નિરર્થક વાતોમાં ના ગુમાવીએ.મૃત્યુ અમોને અગાઉથી એવી કોઇ જાણકારી નથી આપતું કે તે ક્યારે અને ક્યાં આવશે એટલે હરહંમેશાં શ્વાસે-શ્વાસે ઇશ્વરનું ધ્યાન કરવું જોઇએ.આ શ્ર્લોકમાં અમોને અદ્વેતનો બોધ થાય છે.પંચમહાભૂતોથી બનેલું આ શરીર અંતમાં પંચ મહાભૂતોમાં લીન થઇ જાય છે.(૪)
યાવદ્વિત્તોપાર્જનસક્તઃ તાવત્ પરિવારો રક્તઃ
પશ્ચાત્ ધાવતિ જર્જર દેહે વાર્તાં પૃચ્છતિ કોऽऽપિ ન ગેહે ૫
માનવી જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો છે,કમાવાની શક્તિ છે ત્યાં સુધી તેનો પરિવાર તેને વળગેલો,આસક્ત રહે છે પછીથી જ્યારે તેનો દેહ જીર્ણ થાય છે ત્યારે ઘરમાં કોઈ તેનો ભાવ પૂછતું નથી એટલે કે જે પરીવારના માટે તમે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું,જેના માટે તમે નિરંતર મહેનત કરો છો તે પરીવાર તમારી સાથે ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તમે તેમની જરૂરીયાતો પુરી કરો છો.સંસારના તમામ સબંધો ધન ઉપર જ આધારીત છે.મનુષ્ય જીવનનું ધ્યેય ફક્ત ધન કમાવવું નથી પરંતુ આત્માની પવિત્રતા,શાંતિ અને નૈતિક જીવન છે જેનાથી જીવન સફળ થાય છે.(૫)
યાવત્પવનો નિવસતિ દેહે તાવત્ પૃચ્છતિ કુશલં ગેહે
ગતવતિ વાયૌ દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન્કાયે..૬
જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી જ ઘરમાં સૌ કુશળતા પૂછે છે,જ્યારે શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે ત્યારે પત્ની પણ તે મૃત શરીરથી ડરે છે.તમારા મૃત્યુ પછી તુરંત જ તેઓ તમારો અંતિમ સંસ્કાર કરી દેશે.સાંસારીક સબંધો અને સુખોના પ્રત્યેના મોહનો ત્યાગ કરી દેવો જોઇએ.આ શ્ર્લોકમાં શંકરાચાર્યજી આપણને સાવધાન કરતાં કહે છે કે આ અમારૂં જે શરીર છે તે એક ધર્મશાળા સમાન છે કેમકે જન્મ પહેલાં આ શરીર નહોતું અને મૃત્યુ પછી પણ નથી રહેવાનું એટલે આ શરીરના પ્રત્યે આંધળો મોહ યોગ્ય નથી.શરીરના ના રહેવા છતાં પણ અમારી આત્મા અજર-અમર અને પરમાત્માનો અંશ છે.આ આત્માનું પરમાત્મા સાથે મિલનના માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઇએ આ જ અમારૂં કર્તવ્ય છે.(૬)
બાલસ્તાવત્ ક્રીડાસક્તઃ તરૂણસ્તાવત્ તરૂણીસક્તઃ
વૃદ્ધસ્તાવત્ ચિંતામગ્નઃ પારે બ્રહ્મણિ કોऽપિ ન લગ્નઃ ૭
બાળક હોય ત્યાં સુધી મનુષ્ય રમતમાં વ્યસ્ત રહે છે,નવયુવાન પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં સમય વિતાવી રહ્યા છે અને વૃદ્ધ થાય ત્યારે ચિંતામગ્ન રહે છે પરંતુ પરબ્રહ્મ-પરમાત્માને જાણીને તેમનું કોઇ ધ્યાન કરતું નથી.મનુષ્ય જન્મથી લઇને મરણ સુધી નિરંતર મિથ્યા લાલસાઓની પાછળ ભાગે છે,તે એવું નથી વિચારતો કે મનુષ્ય જીવન ઘણું જ ટુંકુ છે.જેમ જેમ એક એક પળ પસાર થાય છે તે મૃત્યુની નજીક ખેંચાઇને જઇ રહ્યો છે.ભાગદૌડવાળા જીવનમાં માનવ એવો ફંસાઇ જાય છે અને વિચાર કરે છે કે મારી પાસે હજુ તો ઘણો સમય છે આ બધા કાર્યો પુરા કર્યા પછી વૃદ્ધાવસ્થામાં ભગવાનનું ભજન કરીશ. જ્યારે તમામ કાર્ય પરવારી તે જાગી જાય છે અને ઇશ્વરમાં મન લગાવવા ઇચ્છે છે ત્યારે શરીર અને મન સાથ આપતાં નથી એટલે પરમાત્માની ભક્તિ કરવા માટે વૃદ્ધાવસ્થા આવવાની રાહ ના જોશો પરંતુ બાળપણથી જ ભગવાનના ચિંતન,સેવા,સુમિરણ અને સત્સંગનો અભ્યાસ કરો.(૭)
કા તે કાન્તા કસ્તે પુત્રઃ સંસારોऽऽયમતીવ વિચિત્રઃ
કસ્ય ત્વં કઃ કુત આયાતઃ તત્વં ચિન્તય તદિદં ભ્રાતઃ ૮
તારો સાચો સાથી કોન છે? કોન તારી પત્ની અને કોન તારો પુત્ર છે? વાસ્તવમાં આ આ સંસાર ઘણો જ ક્ષણભંગુર તથા વિચિત્ર છે.સંસારમાં અમારૂં પોતાનું અસ્તિત્વ શું છે? તું કોનો છે? ક્યાંથી આવ્યો છે? હે ભાઈ ! આ તમામ વાતોના વિશે વિચાર કરો.
સ્વસ્થ પારિવારીક સબંધો જીવનમાં ઉન્નતિના પથ ઉપર લઇ જાય છે,એક બીજાની મદદથી આગળ વધે છે અને પોતાના જીવનને સાર્થક બનાવે છે પરંતુ ધ્યાન રાખજો આ સબંધો અમોને મોહના પાશમાં બાંધી ના લે.પરીવાર જ અમારા જીવનનું પરમ લક્ષ્ય નથી.ભૌતિક સબંધોથી ઉપર ઉઠવાથી જ અમારા જીવનને સાર્થકતા મળે છે.છે.મનુષ્યજીવનની તુલના રેલયાત્રા સાથે કરવામાં આવે છે.રેલયાત્રામાં લોકો પોતાના નિશ્ચિત સ્થાન ઉપર જવા માટે ડબ્બામાં ચઢે છે.કેટલોક સમય સાથે રહે છે,ર્હંસી-મજાક કરે છે,સુખ-દુઃખની વાતો કરે છે,સાથે ખાય-પીવે છે,એકબીજાની મદદ કરે છે અને પોતાનું સ્ટેશન આવતાં ઉતરી જાય છે.જીવનની આ યાત્રામાં પરીવારનો સાથ કેટલોક સમય સુધી જ મળે છે ત્યારપછી તમામ વિખૂટા પડી જાય છે એટલે મોહ-માયામાં ફંસાઇને તેમને જ સર્વસ્વ માની લેવું યોગ્ય નથી.શંકરાચાર્યજી એક મોટાભાઇ ની જેમ અમોને હિત-અહિતને ઓળખી યોગ્ય નિર્ણય લેવાની પ્રેરણા આપે છે.
સત્સઙ્ગત્વે નિસ્સ્ઙ્ગત્વં નિસ્સઙ્ગત્વે નિર્મોહત્વમ્
નિર્મોહત્વે નિશ્ચલતત્ત્વં નિશ્ચલતત્ત્વે જીવન્મુક્તિઃ ૯
સત્-સંગતિથી નિઃસંગતા એટલે કે ભૌતિક સુખ-સુવિધાઓ પ્રત્યેનો મોહ નષ્ટ થાય છે,મનમાં કોઇપણ પ્રકારની લાલસાઓ રહેતી નથી,બુદ્ધિમાં સ્થિરતા આવે છે,નિઃસંગતાથી નિર્મોહતા,નિર્મોહતાથી નિશ્ચળ સત્ય અને નિશ્ચળ સત્યના જ્ઞાનથી જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે.સંત-મહાત્માઓ સાથે ઉઠવા-બેસવાથી અમે સાંસારીક વસ્તુઓ તથા બંધનોથી દૂર થતા જઇએ છીએ અને અમોને સુખની પ્રાપ્તિ થાય છે,અમે તમામ બંધનોથી મુક્ત થઇ તે પરમજ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ.
જીવનમુક્તનો અર્થ છે જન્મ-મૃત્યુના ચક્કરથી મુક્ત થવું,તે બુદ્ધિની સ્થિરતાથી જ સંભવ છે પરંતુ ગીતાનુસાર બુદ્ધિ તો ચંચળ છે,તેને વશમાં કરવી અત્યંત કઠીન કાર્ય છે પરંતુ એનું સમાધાન પણ ભગવાને બતાવ્યું છે કે અભ્યાસના દ્વારા અને ભૌતિક લાલસાઓના પ્રત્યે વિરક્ત બનીને આ ચંચળ બુદ્ધિને વશમાં કરી શકાય છે.મનની સ્થિરતાનો અભ્યાસ સત્સંગથી કરવામાં આવે છે.આનાથી ઉલ્ટું જો અમારો સંગ સારો નથી તો તેના પ્રભાવથી અમારી અંદર કામ ક્રોધ લોભ મોહ વગેરે વિકાર પેદા થાય છે,તેનાથી અમારી સ્મૃતિનો નાશ થાય છે અને અંતમાં બુદ્ધિનો નાશ થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)