તંત્રએ સ્થળ પરથી રૂ. ૧૯.૬ લાખથી વધુની અંદાજિત કિંમતનો ૨૬ ટન જેટલો વરિયાળીનો તમામ લુઝ જથ્થો સીઝ કર્યો
Gandhinagar તા.૧૦
Unjha પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. ૧૯.૬ લાખની કિંમતનો ૨૬ ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી અંગે વધુ વિગતો આપતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડે ઉનાવા ખાતે બે જગ્યાએ અચાનક દરોડા પાડ્યા હતા. જેમાં મે. ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલનું ગોડાઉન અને મે. પટેલ રાકેશકુમાર તલસીભાઈની પેઢી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બતાવવા માટે તેમાં કેમિકલયુક્ત અખાદ્ય કલરની ભેળસેળ કરાતી હતી. આ સિવાય, આ બંને પાસે ખાણી-પીણીની વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી એવું ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું.મંત્રી ઉમેર્યું હતું કે, તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અખાદ્ય કલરની પ્રબળ શંકાના આધારે વરિયાળીના ત્રણ કાયદેસરના નમૂના લઈને લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ તંત્રએ સ્થળ પરથી રૂ. ૧૯.૬ લાખથી વધુની અંદાજિત કિંમતનો ૨૬ ટન જેટલો વરિયાળીનો તમામ લુઝ જથ્થો સીઝ કરી લીધો છે અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

