Dwarka,તા.૧૦
ઓમાનના દરિયામાં ગુજરાતના દેવભૂમિ Dwarka જિલ્લાના સલાયા બંદરનું ‘મહેબૂબ-એ-બુખારી’ નામનું માલવાહક જહાજ ડૂબી જતાં બે ગુજરાતી ખલાસીઓના મોત થયા છે. જહાજમાં કુલ ૧૪ ભારતીય ખલાસીઓ સવાર હતા, જેમાંથી ૧૨ને સફળ રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘મહેબૂબ-એ-બુખારી’ (રજિસ્ટ્રેશન નંબર બીડીઆઇ-૧૪૧૫) ૩ જુલાઈના રોજ દુબઈથી જનરલ કાર્ગો લઈને જીબુટી જવા માટે રવાના થયું હતું. ઓમાનના દરિયાઈ વિસ્તારમાં પહોંચ્યા બાદ ખરાબ હવામાન અને પ્રચંડ મોજાં વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિન અચાનક બંધ પડી ગયા હતા.
એન્જિન ફેઈલ થતાં જહાજ પરનો કાબૂ ગુમાવાયો અને તેમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું. ક્રૂ દ્વારા જહાજ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સફળતા મળી નહીં. પરિસ્થિતિ ગંભીર બનતાં ટંડેલે તમામ ખલાસીઓને જીવ બચાવવા માટે તરત જ દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો.
ઘટનાની જાણ થતાં ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળ, ઓમાન નેવી તેમજ નજીકમાં હાજર ભારતીય જહાજો ‘અલ હાજી હસન’ અને ‘સફિના અલ નૂરે ઇલાહી’ દ્વારા સંયુક્ત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ બચાવ કામગીરી દરમિયાન ૧૨ ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બે ખલાસીઓ દરિયાના પ્રચંડ કરંટમાં ગરકાવ થતાં તેમનું દુઃખદ અવસાન થયું હતું.
મૃતક ખલાસીઓના નામઃ ગંઢાર યાસીન નૂરમામદ,,ઇમરાન ઇશાક ભાયા છે બંને મૃતકો ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બચાવાયેલા ખલાસીઓ અને મૃતકોના મૃતદેહોને ઓમાનના દુકમ નજીક આવેલી ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ સલાયા અને આસપાસના વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ વિદેશ મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને ઈમેલ મારફતે મૃતદેહોને ભારત લાવવા, બચાવાયેલા ખલાસીઓની સુરક્ષિત વાપસી અને જરૂરી કાનૂની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરી છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે.

