લોકોને રજૂઆત માટે ધારી કે પાલીતાણા સુધી ધક્કા ખાવા પડે છે.,અમરેલી જિલ્લા મથકે વન વિભાગની કચેરી ઉભી કરવા ફરી પ્રબળ માંગ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૩
અમરેલી જિલ્લામાં છેલ્લા સવા માસના સમય ગાળા દરમિયાન જ મનાવીઓ અને સિંહ ઘર્ષણની સાત સાત ઘટનામાં પાંચ લોકોના જીવ ગયા છે. ત્યારે તેમાં મહત્વની બાબત જોઈ તો એશિયાટિક સિંહોની વધતી જતી વસ્તી વચ્ચે હાલમાં અમરેલી જિલ્લો આજે રાજ્યમાં સૌથી વધુ સિંહ ધરાવતો જિલ્લો બની ગયો છે. વર્ષ ૨૦૨૫ની સિંહ ગણતરી મુજબ રાજ્યમાં કુલ ૮૯૧ સિંહ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ એટલે કે, ૩૩૯ સિંહ એકલા અમરેલી જિલ્લામાં નોંધાયા છે. તેમ છતાં આ સમગ્ર વિસ્તારના સંચાલન માટે જરૂરી વન વિભાગની સિંહ સંબંધી મુખ્ય કચેરીઓ આજે પણ અમરેલી જિલ્લા મથકથી બહાર કાર્યરત છે. જેથી આવી કચેરી અમરેલી જિલ્લા મથકની બહાર કાર્યરત હોવાના કારણોસર સ્થાનિક લોકો અને વિવિધ સંસ્થાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
Amreli જિલ્લામાં ગીર પૂર્વ વનવિસ્તારનો મોટો ભાગ આવેલો છે, જેની મુખ્ય કચેરી ધારી ખાતે કાર્યરત છે. આ ઉપરાંત ગીર અભ્યારણ્યની સીમા બહારનો પણ વિશાળ વિસ્તાર આવેલો છે. જ્યાં મોટી સંખ્યામાં એંશીયટિક સિંહો વસવાટ કરે છે. તેને બૃહદગીર (ગ્રેટર ગીર) તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અમરેલી, લીલીયા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યા અને તેમનું વિચરણ સતત આ વિસ્તારોમાં સતત વધી રહ્યું છે.
બૃહદગીર વિસ્તારના વહીવટી સંચાલન માટે વન વિભાગે શેત્રુંજી ડિવિઝન રચ્યું છે. શેત્રુંજી નામ અપાતા તેની મુખ્ય કચેરી ભાવનગરના પાલીતાણા ખાતે સ્થાપવામાં આવી છે. જોકે પાલીતાણા માત્ર તાલુકા મથક છે. જ્યારે અમરેલી જિલ્લો રાજ્યમાં સૌથી વધુ સિંહ ધરાવતો જિલ્લા મથક હોવા છતાં અહીં વન વિભાગની સિંહ સંબંધી કોઈ વિભાગીય કચેરી કાર્યરત નથી. હાલમાં અમરેલી શહેરમાં વન વિસ્તરણ રેન્જની કચેરી કાર્યરત છે, પરંતુ તેની કામગીરી મુખ્યત્વે વૃક્ષારોપણ, સામાજિક વનીકરણ અને અન્ય નાગરિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત છે. સિંહ, દીપડા સહિતના વન્યજીવોના સંચાલન, બચાવ, વળતર, પરવાનગી અથવા અન્ય મહત્વના વહીવટી કાર્યો માટે અમરેલી જિલ્લાના લોકોને ધારી અથવા પાલીતાણા સુધી જવું પડે છે.
અમરેલીમાં જિલ્લામાં સૌથી વધુ સિંહ હોવા છતાં જિલ્લા મથકે સંબંધિત કચેરીનો અભાવના કારણે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. વન્યજીવોના વધતા વિચરણ, માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો, ખેડૂતોના પ્રશ્નો, પશુહાનિના વળતર, બચાવ કામગીરી અને અન્ય વહીવટી પ્રક્રિયાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે જિલ્લા મથક એવા અમરેલીમાં જ વન વિભાગની સિંહ સંબંધી મુખ્ય કચેરી કાર્યરત કરવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી છે. સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોનું માનવું છે કે, રાજ્યમાં સૌથી વધુ સિંહ ધરાવતા જિલ્લાને આ બાબતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા જાણકારોના મતે જો અમરેલી જિલ્લા મથકે જ વિભાગીય કચેરી કાર્યરત કરવામાં આવે તો વહીવટી કામગીરી ઝડપી બનશે, લોકોને અનાવશ્યક ધક્કા નહીં ખાવા પડે અને સમગ્ર બૃહદગીર વિસ્તારનું સંચાલન પણ વધુ અસરકારક રીતે થઈ શકશે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મૌન ચર્ચાનો વિષય
અમરેલી જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ સિંહોની વસ્તી હોવા છતાં અમરેલી જિલ્લા મથકે વન વિભાગની સિંહ સંબંધી કચેરી સ્થાપવાની માંગ અંગે જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી અત્યાર સુધી કોઈ નોંધપાત્ર પહેલ જોવા મળી નથી. લોકસભા, વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દો રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો હોવાના દાખલા પણ બહુ ઓછા છે. પરિણામે વર્ષોથી ઉઠતી માંગ આજે પણ અધૂરી રહી છે. સ્થાનિકોમાં એવી લાગણી છે કે જિલ્લાના હિતના આ મહત્વના પ્રશ્ને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એકમત બની સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવી જરૂરી છે.
શેત્રુંજી ડેમ પાલીતાણા હોવાથી કચેરીને પાલીતાણા ખસેડી દીધી !
અમરેલી જિલ્લામાં મુખ્યત્વે ગીરનો વિસ્તાર ધારી ગીર પૂર્વમાં આવે છે જેની મુખ્ય કચેરી ધારી ખાતે આવેલી છે. ધારી તાલુકા મથક છે. અમરેલી જિલ્લા વન વિસ્તરણ રેન્જની કચેરી આવેલી છે. જેમાં સિંહ દીપડા વગેરેની કોઈ જવાબદારી આવતી નથી માત્ર વાવેતર વગેરે આવે છે. પછી બૃહદ ગીર માટે એક નવું ડિવિઝન બનાવવામાં આવ્યું જેમાં અમરેલી શહેર અને તાલુકો, સાવરકુંડલા, લીલીયા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિતના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આયોજનના વિસ્તારમાં અમરેલી જિલ્લા મથક હોવાના કારણે આ વિસ્તારનું મુખ્ય મથક છે અને અમરેલી જીલ્લો આમ પણ સિંહની સૌથી વધારે વસ્તી ધરાવે છે અને આયોજનનો મોટો ભાગ અમરેલી જિલ્લામાં આવેલો છે. પરંતુ ડિવિઝન નું નામ શેત્રુંજી નદીના કારણે શેત્રુંજી ડિવિઝન રાખવામાં આવ્યું અને આ શેત્રુંજય નથી અમરેલી જિલ્લાની જ સૌથી મોટી નદી છે. પરંતુ શેત્રુંજી ડેમ પાલીતાણામાં આવેલો હોવાથી આ ડિવિઝનની મુખ્ય કચેરીઓપાલીતાણામાં રાખવામાં આવી છે. અમરેલી જિલ્લાના લોકોને રજૂઆત માટે પાલીતાણા જવું પડે તેમ છે. આમાં સમયથી આમ ચાલતું હોવા છતાં પણ નેતાઓ ભેગી રીતે મોન સેવી રહ્યા છે.

