બાકી નીકળતા ૫૦ હજાર મામલે. ધર ઘૂસી પુત્રનું બુલેટ હંકારી જઈ માર માર્યાનો આક્ષેપ
Rajkot તા.૧૪
શહેરના જામનગર રોડ પર આવેલી બજરંગવાડીમાં પ્રૌઢે ઉઘરાણી કરનાર શખ્સના ત્રાસ, મારપીટ અને ધમકીઓથી કંટાળી જઈ મોડી રાત્રે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાલ તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બજરંગવાડીમાં શેરી નં ૧૨માં રહેતા સંજયભાઈ ચંદુભાઈ તુવાર (ઉં.વ. ૪૨) નામના રીક્ષા લે-વેચના ધંધાર્થી ગત રાત્રે આશરે ૧૦ વાગ્યાની આસપાસ ખોડિયાર ટેકરી રોડ પર આવેલા જાહેર શૌચાલય પાસે હતા, ત્યારે તેમણે ફિનાઈલ પી લીધું હતું. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.સંજયભાઈએ જણાવ્યા અનુસાર, તેઓ રીક્ષા લે-વેચનું કામ કરે છે. તેમણે રાજુ બોરીચા નામના શખ્સ પાસેથી ત્રણ રીક્ષાઓ ખરીદી હતી, જેના પેટે ૫૦,૦૦૦ ચૂકવવાના બાકી હતા. આ બાકી રૂપિયાની ઉઘરાણી કરવા માટે રાજુ બોરીચા અવારનવાર દબાણ કરતો હતો. ગઈકાલે રાજુ ઉઘરાણી કરવા આવ્યો ત્યારે તે સંજયભાઈના દીકરાનું બુલેટ મોટરસાયકલ બળજબરીથી પડાવીને લઈ ગયો હતો. એટલું જ નહીં, સંજયભાઈને બેફામ ઢોર માર મારી ધમકીઓ આપવાનો આક્ષેપ કર્યો છે. આ ઉઘરાણીના ત્રાસના કારણે આ પગલું ભર્યું છે.

