Rajkot તા.૧૪
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે ગત તારીખ ૩ માર્ચ ૨૦૨૬ના રોજ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને લાંબા સમયથી સારવાર હેઠળ રહેલા વેપારીનું મોત નીપજ્યું છે. ઓમ શાંતિ કેન્દ્ર (બ્રહ્માકુમારીઝ) ખાતે સેવા આપીને મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહેલા વૃદ્ધને પુરપાટ ઝડપે ધસી આવેલી કારે અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોવર્ધન ચોક પાસે આવેલ માધવ પાર્કમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈ નાનજીભાઈ રૈયાણી (ઉં.વ. ૭૨) ગત ૩-૩-૨૦૨૬ના રોજ બપોરે ઉમિયા ચોક નજીક ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તેઓ બ્રહ્માકુમારીઝ કેન્દ્રમાં સેવા પૂરી કરીને ઘરે પાછા આવી રહ્યા હતા, ત્યારે અજાણી કાર ચાલકે તેમની મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં વિઠ્ઠલભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. અકસ્માતને પગલે એકઠા થયેલા લોકોએ તેમને તુરંત જ બાલાજી હોલ પાસે આવેલી પ્રીમિયર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા હતા જ્યાં લાંબી સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક વિઠ્ઠલભાઈ રૈયાણી બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના ભાઈ હતા. તેઓ સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બનાવને લઈ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

